Friday, September 16, 2011

હૃદય પરિવર્તન

જય સિયારામ...
રામજી સાથેની મૈત્રીથી વિવશ્વાન સારા માર્ગે આવવા લાગ્યો. તેના મનમાં રહેલી નબળાઈઓ દુર થવા લાગી..અને ધીમે ધીમે પરિસ્થિતિને અનુરૂપ પણ થવા માંડ્યો..તેનું મન આદરથી જ્ઞાન ગ્રહણ કરવા લાગ્યું .
એક વાર વિવશ્વાન તેના બીજા મિત્રો સાથે ખેતરે ગયો હતો . સાંજ પડી,વરસાદી વાતાવરણ હતું..વીજળીના કડાકા સાંભળીને બધા નાના શિષ્યો આશ્રમ તરફ પાછા વળ્યા...તેઓ આશ્રમે આવ્યા,પરંતુ ગુરુમાતા કહે,"તમારી સાથે વિવશ્વાન પણ હતો ને? તે ક્યાં રોકાઈ ગયો?"
ભયભીત થયેલા શિષ્યોમાંથી એક કહે,"માતા, અમે પાછા વળ્યા ત્યારે એ અમારી સાથે જ હતો..ખબર નહિ અહી આવતા આવતા ક્યાં અટવાઈ ગયો!"
આ સાંભળી ગુરુમાતાને ફાળ પડી..તે વ્યાકુળ દશામાં ગુરુજી આગળ દોડી ગયા,"ગુરુદેવ, વિવશ્વાન ખેતરેથી પાછો  નથી આવ્યો..તમે જલ્દી જાઓ ક્યાંક તે આ વર્ષામાં અટવાઈ ના ગયો હોય!"
ગુરુ વશિષ્ઠ  તાબડતોબ બીજા મુનીઓ સાથે તેને શોધવા ગયા...ખેતર તરફ આવીને તેમણે બુમ પાડી,'વીવસ્વાન, પુત્ર વીવસ્વાન!' પણ કોઈ પ્રત્યાઘાત ના મળ્યો! તેમણે ફરી બુમ પાડી..આ વખતે ખેતરના શેઢેથી સામો જવાબ મળ્યો . ત્યાં જઈને જોયું તો ગુરુજી અવાચક થઇ ગયા...આશ્રમ તરફ આવતા પાણીને રોકવા બનાવેલી માટીની પાળ પર વીવસ્વાન અઢેલીને બેઠો હતો..!!
"અહી શું કરેછે વત્સ?"-ગુરુજી તેની પાસે જતા બોલ્યા..
"ગુરુજી, અમે જયારે આશ્રમે પાછા ફરતા હતા ત્યારે અચાનક મારું ધ્યાન અહી પડ્યું.જોયું તો ભારે વરસાદને લીધે આ પાળમાં મોટું ગાબડું પડી ગયું હતું. અને ધસમસતું પાણી આશ્રમ તરફ જતું હતું. મેં મિત્રોને બુમ પાડેલી પણ તેઓ ખુબ આગળ નીકળી ગયા હતા. મેં ગાબડું પુરવા યત્ન કર્યો પણ હું સફળ ના થયો.આખરે આ ગાબડામાંથી આવતું પાણી બંધ કરવા હું જાતેજ આડો બેસી ગયો."-વિવસ્વાન નિખાલસતાથી બોલ્યો..
ગુરુજીએ બીજા મુનિઓની મદદથી પાળનું સમારકામ કર્યું અને વિવસ્વાનને લઈને આશ્રમ તરફ ચાલતા થયા. દુરથી બધાને આવતા જોઈ ગુરુમાતાનો જીવ નીચે બેઠો. તેમણે વિવસ્વાનને ગળે લગાડી લીધો..
ગુરુજીની વાત સાંભળ્યા બાદ સૌ કોઈ વિવસ્વાનને માનથી જોવા માંડ્યું..

જય સિયારામ...




Friday, September 2, 2011

હૃદય પરિવર્તન

જય સીયારામ..
આશ્રમ નું જીવન સુખરૂપ વીતવા લાગ્યું...માતા-પિતાથી દુર હોવાની પ્રતીતિને ચારે બાળકોએ દુર હડસેલતા શીખી લીધું....જાણે ગુરુને જ પિતા અને ગુરુમાતાને માતા સમાન માનવા લાગ્યા..
ગુરુજીએ પણ ખુબ જ વાત્સલ્ય સાથે તેમના શિષ્યોને વિદ્યામાં પારંગત કર્યા..પરંતુ અમુક શિષ્યોનું મન કયારેક  હજુ માતા-પિતાને તેમની સાથે તોલતું..
ચારે ભાઈઓએ આશ્રમને પોતાનું ઘર જ ગણ્યું.સવારમાં વ્રુક્ષોને પાણી પાવું,ગાયોને ચરાવવા લઇ જવી,ભિક્ષા માંગવાનું કામ તેઓ કરતા..ઘણી વાર તો ગુરુમાતા સ્નેહથી ઠપકો પણ આપતા..કહેતા,"વત્સ, આ બધું આશ્રમનું કામ જો તમે કરવા લાગશો તો અમે શું કરીશું ?!
શત્રુઘ્નજી પણ લાડથી જવાબ આપતા,"અમને લાડ કરજો...એ કામ તમારું.."
ગુરુજી આ અનોખી વાત્સલ્યની કડીને નિહાળતા અને ગુરુમાતાને ટોકતા પણ ખરા,"દેવી,તેઓ અહી અભ્યાસ અર્થે આવ્યા છે, એવામાં  તમારો સ્નેહ ક્યાંક એમને નબળો ના પડે!એમને બહુ માયા ના લગાડશો.."
ગુરુમાતા પણ તાર્કિક ઉત્તર આપતા,"ગુરુદેવ, તમે તમારો ધર્મ નિભાવો!તમે એમને કઠોર શિક્ષણ આપો, મહાન રાજા બનાવો..હું તેમની કોમળ બાજુનું ધ્યાન રાખુંછું.."

આશ્રમમાં એક શિષ્ય હતો.નામ એનું વિવસ્વાન..તેને ક્યારેય આશ્રમ પ્રત્યે કૃતજ્ઞતા ના હતી..તેને તેનું ઘર છોડ્યાનું દુખ હમેશા રહેતું..
એકવાર સાંજે બધા શિષ્યો પરશાળમાં વાળું કરતા હતા.ગુરુમાતા સહીત બીજી સાધ્વીઓ ભોજન પીરસતી હતી..ત્યાં ભરત કહે,"માતાજી, આજે તો બહુ સ્વાદિષ્ટ ભોજન બન્યુછે..મને તો એવું લાગેછે જાણે મારી માતા મને જમાડી રહી છે.."
આ સાંભળી વિવસ્વાનથી ન રહેવાયું..કહે  ,"કોઈ બીજું કેવી રીતે માતા લાગી શકે??"
રામજી કશુક બોલવા જતા હતા પણ ગુરુદેવના ઈશારે ચુપ રહ્યા...રાતે જયારે ઈશ્વરની પ્રાર્થના માટે મળ્યા ત્યારે ગુરુદેવએ કહ્યું,"વિવસ્વાન હૃદયથી ખરાબ નથી..વધુ સમય ઘરથી અલગ રહેવાને લીધે તે હવે કોઈ બીજાને તેના જીવનમાં સ્થાન નથી  આપી  શકતો.એટલે જ તેનો સ્વભાવ આવો થઇ ગયો છે...હશે.જેમ પરિપક્વ થશે, આપોઆપ સમજી જશે."
જય સીયારામ..
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth