Friday, November 8, 2013

રાણી કૈકેયીજીના બે વચનો...

જય સિયારામ..

રાણી કૈકેયીજીએ મંથરાને અત્યંત નિકટની અને વિશ્વાસુ માની. એના કહ્યા મુજબ એ કોપભવનમાં જવા નીકળ્યા.
જતા જતા મંથરાએ સલાહ આપી ,"સૌ પ્રથમ મહારાજ પાસે રામના સોગંદ લેવડાવજો પછી જ કશું કહેજો જેથી મહારાજ વચનફેર કરી ના શકે.. આજે રાતે જ આ કામ પૂરું થઇ જવું જોઈએ નહિ તો બાજી બગડી જશે.."

રાજદરબારમાં ખુબ જ ભીડ જામી છે. કોઈ અંદર જાય છે તો કોઈ બહાર જાય છે..રાજ્યાભિષેકના શણગારોને આખરી ઓપ આપે છે. શ્રીરામના બાળસખાઓ શુભ સમાચાર સાંભળી તેમને મળવા આવી રહ્યા છે..
સાંજે મહારાજ દશરથ અત્યંત ખુશ થઈને પોતાની પ્રિય રાણી કૈકેયીના મહેલે જાય છે..
પરંતુ ત્યાં ગયા બાદ મંથરા દ્વારા ખબર પડી કે રાણી કોપભવનમાં છે..
ચિંતા હોવા છતાં મહારાજના મુખે સ્મિત આવ્યું. મનમાં વિચાર્યું ,"લાગે છે એને મળવા આવવામાં વિલંબ થયો એટલે રિસાયા છે..કશો વાંધો નહિ .જલ્દી જ માની જશે..એમ પણ પોતાના પુત્રનો રાજ્યાભિષેક છે..જો કોઈ ભેટ માટે હોય તો થોડી ઘણી સ્ત્રીહઠ માન્ય છે..."

રાજા કોપભવનમાં ગયા. પરંતુ આ શું? રાણીના સદા સ્મિત રમાડતા મુખ પર આજે સહજ હાસ્ય નહોતું. જુના વસ્ત્રો પહેર્યા હતા. બધા જ આભૂષણો ત્યાગી કાળી ટીલડીઓ કરી હતી. અને જમીન પર સુતા હતા..
તેમનો આ વેશ ભાવિ વૈધવ્યનું સૂચક બનશે એવી કોને ખબર હતી !

રાજાજી જઈને તેમની પાસે બેઠા. તેમને વહાલ ભર્યો સ્પર્શ કરવા જતા રાણી વધુ ક્રોધે ભરાયા. રાજાજી મૃદુ સવારે બોલ્યા,"શું વાત છે? શા કારણે અમારી પ્રિય રાણીને રીસાવું પડે છે ? ચંદ્ર જેવા મુખ પર અમાસ કેમ છે ? "
રાણીએ કોઈ ઉત્તર ન આપ્યો. ઉલટાનું આંખમાનું કાજળ આંસુમાં ભીંજાઈને મુખ પર આવ્યું.
રાજાજીએ ફરી મનાવવા પ્રયાસ કર્યો, "લાગે છે નગરમાં કોઈ છે જેને યમદ્વાર જોવો છે..એવું કોણ છે જેણે તમારું અહિત કર્યું છે ? તું બોલે તો ખબર પડે.. "
 કોઈ ઉત્તર ન મળતા હવે રાજાને લાગ્યું કે કશુંક ગંભીર છે. તેઓ બોલ્યા, "તને ખબર છે કે આજ સુધી તારી દરેક ઈચ્છા પૂરી થઇ છે..કોઈ પણ વાત હૃદયમાં રાખ્યા વિના નિ:સંકોચ જણાવ.  "રાજાજી આર્દ્ર સ્વરે બોલ્યા.
અને પછી ઉમેર્યું,"તારે મનગમતું જે જોઈતું હશે તે મળશે .અને આ તો શુભ અવસર છે જે જોઈએ એ બોલ. પણ આવા શુભ સમયે આવો કુવેશ ન કર. નવા વસ્ત્રો અને આભૂષણો સાથે થોડો સ્મિતનો શૃંગાર કરી આ કોપભવનમાં થી બહાર ચાલ.. તું કઈ કહે ને હું ન માનું તો મને આજે રામના સોગંદ છે...!!!!"

પોતાની જાતે જ મહારાજે સોગંદ લઇ લીધા એ વિચારે કૈકેયીજીના મુખે રોનક આવી. પોતાના મહેલમાં જઈને તેઓએ  અવસર પ્રમાણે શૃંગાર કર્યો. અને પતિની પાસે ગયા.
દશરથજી બોલ્યા,"પ્રિયે! તને મનગમતું જ થયું છે! આવતી કાલે તારા સૌથી પ્રિય એવા પુત્ર રામને એક પદ સોપું છું.. "

જેવી રીતે ચોરને જાહેરમાં સજા થતી હોય તો તેની પત્ની દુ:ખી હોવા છતાં બધાની સામે રડી ન શકે તે જ રીતે રાણી કૈકેયીને ન ગમતું હોવા છતાં પ્રારંભમાં સ્મિત કર્યું.

રાજાના કહેવા પર તેમણે ફરીથી બનાવટી છણકો કર્યો," હંમેશા કંઈક માંગવાનું કહો છો , મેં કશું માંગ્યું છે ક્યારેય ? તમને પેલી વર્ષો પહેલાની ઘટના યાદ છે ? એક ભીષણ યુદ્ધમાં તમે ફસાઈ ગયા હતા. અને કોઈની ગદાનાં પ્રહારથી આપના રથના પૈડાની ધરી નીકળી ગઈ. રથમાં ત્યારે હું પણ હતી અને મેં....."

રાણીને અટકાવતા રાજા બોલ્યા, "અને તમે એ પૈડાની ધરીની જગ્યાએ તમારા આ કોમળ હાથની  આંગળી મૂકી રથને પડતો બચાવ્યો હતો. "  વર્ષો જુનું નિશાન જાણે હજી તાજું હોય એમ કૈકેયીજીના હાથને પોતાના હાથમાં લેતા રાજા ફરી બોલ્યા, "એટલું જ નહિ, આ ઘાયલ મહારાજને હજારો શત્રુઓ સામે  લડીને હેમખેમ મહેલએ લઇ આવવા વાળા પણ આજના આ રિસાયેલા મહારાણી હતા..."

હવે કૈકેયીજી ની ધીરજ ઘટતી ચાલી, " ત્યારે તમે ખુશ થઈને મને બે વરદાન માંગવા કહ્યું હતું. "
દશરથજી- "અને તમે સમય આવ્યે માંગશો એવું કહ્યું હતું.."
કૈકેયીજી -"તો એ વરદાન આજે જ પૂરા થાય તો કેવું! "
દશરથજી -"માગો! ત્યારે એક શું! આજે તો જેટલું માંગશો તે થશે..પ્રાણ જાય પણ વચન ન જાય એ રઘુકુળની પરંપરા રહી છે હમેશા થી. વળી, આજે તો મેં રામના સોગંદ પણ લીધા છે.. ."

પછી જે કંઈ રાણી કૈકેયીએ માંગ્યું એ અશુભ હોવાનો સંકેત આપતું હોય તેમ એક નિશાચર પક્ષી મહેલ પરથી ચીસ પાડતું ઉડ્યું. રાજ્યાભિષેકની તૈયારીઓમાં ડૂબેલા અયોધ્યાએ જો થોડીવાર કોલાહલ શાંત કર્યો હોત તો તેમને કદાચ રાજા દશરથના બેશુદ્ધ થઈને જમીન પર પડવાનો અવાજ પણ સંભળાત...!!

જય સિયારામ..
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth