Wednesday, June 22, 2016

Goodbyes...

Due to some Personal reasons, I have to close this blog.

However, Old posts will be available for reading and the same are listed at blog archives.
One more thing I want to say- I am thankful to all visitors who, in a way, became my confidence to write my first spiritual blog . Thank you.

Its always difficult to leave something all of a sudden when you love that thing. so is my condition.
However, My journey with this blog and you does not end here. I'll come with a new start before fully closing this one.

Jay Siyaram..


( Ramji Mandir , Lambe Hanuman Temple , Girnar Taleti, Junagadh.) 

Sunday, May 1, 2016

સીતાજી ની હઠ

 હવે સમજાવવાનો વારો શ્રીરામનો હતો.
પોતે જો અનેકો દુ:ખ ભોગવવાના આવે તો, કોઇ પણ દ્રઢ મનોબળથી એને સહન કરી શકે છે.
પરંતુ જો એ જ દુ:ખ પોતાનું પ્રિયપાત્ર ભોગવતું હોય તો એને સહન કરવું અનેક ગણું મુશ્કેલ બની જાય છે.
અને આ આવી પડેલી પરિસ્થિતી તો પોતાને માટે હતી. નહી કે વૈદેહી માટે.
આ બધા જ વિચારો તેમને પત્નીનું આનન જોતાવેંત આવી ગયા.
તેઓ એ કહ્યુ, " રાજકુમારી, મારી વાત સાંભળો. 
આપ જો ખરેખર મને આનંદમાં જોવા ઇચ્છતા હો,તો હઠ ના કરશો. તમે અહીં જ રહેશો. 
માતાને જ્યારે જ્યારે મારી યાદ આવશે, ત્યારે તમને જોઇને એ એમનું મન મનાવી શકશે. 
અને મને પણ વનમાં નિશ્ચિંતતા રહેશે કે તમે બન્ને મારી અનુપસ્થિતીમાં એક-બીજા સાથે છો.
સાથે આવવાની મને આવશ્યક્તા પણ લાગતી નથી. 
વનવાસ કરીને પાછું અહીં જ આવવાનું છે.
હું માનુ છું કે તમે વનથી પરિચિત હશો. 
પણ સીતે, ત્યાં સતત રહેવાનો અભ્યાસ તમને નથી. માત્ર પ્રેમવશ થઈને વિચારવું યોગ્ય નથી. કંદમૂળ કે ફળ ખાઇને રહેવાનો અભ્યાસ મેં કરેલો છે. અને એ પણ રોજે મળે જ એવું જરુરી તો નથી.
બધુ ઋતુ અનુકૂળ મળે. અને આપણે પણ આપણી જાત પ્રકૃતિને સમર્પિત કરી દેવી પડે."
-આવા અનેક કારણો રઘુનંદનએ સીતાજીને આપ્યાં.
આ વખતે પણ તેઓ ચુપ રહ્યા. પરંતુ તેમની આંખો પાણીને સાચવી ના શકી.
બહુ પ્રયત્નો કરવા છતાં પણ બે-ત્રણ આંસુ તો સરી જ પડ્યા.

તેમણે કૌશલ્યાજીને હાથ જોડી કહયું, "માતા, હું જે કહુ છું તે અવિવેક ના ગણશો. 
એવુ નથી કે મને તમારી શિખામણ અયોગ્ય લાગે છે. હું જાણું છું કે તમે અને રાઘવ જે કહો છો, એ મારા માટેનો અપ્રતિમ પ્રેમ માત્ર છે. પરંતુ આ બધા કારણોથી અધિક દુ:ખ દાયક મને વિયોગ થઈ પડશે.
તેઓ અહીં નહીં હોય તો શું મને એમનું સ્મરણ નહીં થાય ?  એમણે ખાધું હશે કે નહીં એ વિચારે મારું મન પણ ચલિત રહેશે. અને આ બધું હું એકલી સહન કરીશ એવુ તો નથી. વિયોગ તો એમને પણ સાલવાનો.
ભલે અહિ હર ક્ષણ દાસ- દાસીઓ સેવામાં હોય, વનમાં એમને પણ સતત મારા ને તમારા વિચારો આવશે.
ત્યાં મુશ્કેલી પડશે, પણ બન્ને સાથે એ ઝીલી શકીશું."
પછી સ્વામી સામે જોઇને બોલ્યાં, "આથી વિશેષ હું શુ કહું ! તમે બધું જ જાણો છો. મારાથી પ્રોષિતભર્તુકા નહિ થવાય. ચૌદ વરસ સુધી હું જીવિત નહી રહી શકુ. 
તમે સાથે હો તો પછી મને વનનો ભય રહેશે જ નહિ.
અને જો તમે એમ કહેવા માંગતા હો કે રાજમહેલોમાં રહેલાઓ ને આ કષ્ટદાયક છે તો પછી તમે પણ વનમાં જવા યોગ્ય ન કહેવાઓ. મને "વિયોગ"  શબ્દ જ વિષાદકારી લાગે છે. "

શ્રીરામે માતા સામે જોયું. માતાની આંખોમાં પણ સીતાજીની છવિ યાચના કરતી હતી. 
તેમનો હકાર પારખી સીતાજીએ આંસુ લુછી નાખ્યાં. 
શ્રીરામની સમજાવવાની પ્રકિયા સિયા સુધી સિમિત નહોતી. 
આવતી થોડીક ક્ષણોમાં તેમણે સૌમિત્રને પણ સમજાવવા પડશે એવું વિધાતા લખી ચુક્યા હતા. 


Sunday, March 27, 2016

કૌશલ્યાજી નો પ્રતિભાવ

થોડીવાર તો માતા કશું બોલી ના શક્યા પરંતુ પછી તેમને પોતાનો ધર્મ યાદ આવ્યો.
તેમની માટે તો ચારે પુત્રો એક સમાન જ છે.
ચાર માંથી ગમે તે પુત્ર ગાદીએ બેસે, માતા માટે સૌ એક સરખા.
હવે શાંત ચિત્તે માતા બોલ્યા, " પુત્ર ! તે યોગ્ય જ કર્યું છે. પિતાનું વચન પાલન સૌથી મહત્વનું ગણ્યું છે એ ઠીક જ છે. રાજ્ય મળવાને બદલે ભલે વન  મળ્યું, પરંતુ તારા વિના તારા પિતા, ભરત અને પ્રજાને ખુબ જ દુઃખ અનુભવાશે.
વળી, જો આ માત્ર તારા પિતાની આજ્ઞા હોત તો તારી સૌથી મોટી મા તરીકે તને રોકી શકાત. પણ આ તારા માતા-પિતા બંનેની આજ્ઞા છે. અને તારા માટે કોઈ પણ એક માતાની આજ્ઞા અમારી ત્રણે માતાની આજ્ઞા બરાબર છે.
એક રાજાએ વનવાસ પણ કરવાનો હોય જ છે. પરંતુ તારી હજી એ ઉંમર નથી એટલે મન આ સ્વીકારી શકતું નથી. મારા પત્નીધર્મને લીધે તને એમ પણ ના કહી શકું કે "પુત્ર, મને પણ તારી સંગાથે લઇ જા."
બધા દેવો અને પિતૃઓ આંખની કીકીની જેમ તારી રક્ષા કરશે. સુખેથી ગમન કરો. વનશ્રી તારી માતા થશે - વનદેવતા તારા પિતા. "
આટલું બોલી માતા પુત્રને વળગી પડ્યા. શ્રી રામે તેમને મૃદુ વાણીમાં સમજાવીને શાંત પાડ્યા.

આ જ સમયે સીતાજીને પણ સમાચારની જાણ થઇ. તેઓ તરત જ સાસુ પાસે દોડી આવ્યા અને તેમને નમન કરી નજીક બેસી ગયા.

दीन्ही असीस सासु मृदु बानी, अति सुकुमारी देखि अकुलानी |

સાસુએ તેમની સામે જોયું. અત્યંત સુકુમાર છે સીતાજી. વિધાતાને તેમની આ પુત્રીની દયા નહિ આવી હોય!
સીતાજીના મનમાં પણ વિચારોનું યુદ્ધ ચાલે છે. આવી રીતે જ શું સાથ છૂટી જશે !
 વિરહ કઈ રીતે સહન થશે! પોતે પતિ સાથે નહિ જાય તો અહી આ જ મહેલમાં એમના પ્રાણ નીકળી જશે! પરંતુ, સ્વામીને મનાવવા કઈ રીતે! 
આવું વિચારતા જયારે અજાણપણે તેઓ જમીન ખોતરવા લાગ્યા, ત્યારે તેમના નુપૂર દીન અવાજ કરે છે. જાણે કહી રહ્યા છે, - 'હે મૈથિલી ! અમારો ત્યાગ ના કરશો. ' 
સીતાજીની આંખે પણ અશ્રુધારા વહી રહી.
તેઓ શું વિચારતા હશે એનો અંદાજ શ્રીરામને આવ્યો ના હોય એવું બની શકે ખરા ?!
માતા કૌશલ્યાએ પણ સીતાજીની એ પ્રશ્નસૂચક આંખો વાંચી લીધી. 
આખરે સીતાજીએ પોતાની ઈચ્છા જાહેર કરી દીધી.

ત્યારે કૌશલ્યાજી બોલ્યા, " રૂપવાન, ગુણીયલ પુત્રવધુ મેં મેળવી છે. કલ્પવેલીની  જેમ લાલન પાલન કર્યું છે. સદાયે વહાલ આપ્યું છે. આટલી કોમળ બાળા પર વિધાતા પ્રતિકુળ કઈ રીતે થયા હશે ! સીતાએ અમારો ખોળો , હિચકો, પલંગ કે બાજઠ છોડી કઠણ જમીન પર પણ પગ મુક્યો નથી, દીવાની દિવેટ સંકોરવા જેવું કામ પણ એને સોપાયું નથી. 
પુત્રી, વનમાં નિશાચરો, હિંસક પ્રાણીઓ, દુષ્ટ જીવ-જંતુઓ હોય. ત્યાં તને કષ્ટ સહન કરવા મોકલવી એ યોગ્ય નથી. હા, ત્યાં કન્યાઓ  હોય છે. ભીલ, કીરાતોની કિશોરીઓ હોય છે. પણ તેઓ પ્રકૃતિમાં રહી ચુકેલી હોય છે. પથ્થરના કીડા સમાન તે કઠણ હોય છે. તેમને વન અનુકુળ હોય. નહિ કે તને. માટે આ જીદ છોડી દે પુત્રી ! "

જયારે સીતાજી ન માન્યા ત્યારે કૌશલ્યાજીએ  અનેક પ્રકારે તેમને વનની હકીકતો જણાવી. અગોચર વિશ્વો, માયાવી રાક્ષસોનો ચિતાર આપ્યો. સીતાજી ત્યાં કોઈ પણ રીતે આરામથી રહી શકે તેમ નહિ હોય એ સમજાવ્યું. 

સીતાજી નતમસ્તક સાંભળી રહ્યા. માતાએ કરેલી વનની ભયાનકતાનું વર્ણન સાંભળ્યું પરંતુ તેમના મુખ પર આવેલી દ્રઢ નિર્ણયની રેખા એકવાર પણ ચલિત થઇ નહિ. 

Sunday, January 31, 2016

શોકગ્રસ્ત અયોધ્યા..continue..

જય સિયારામ..

પોતાના પુત્રને સર્વ લોકો ચાહતા હોય, એને શિરોમણી બનાવવા ઉત્સુક હોય ત્યારે
કઈ માતા ખુશી ન અનુભવે ? !
કૌશલ્યાજી પણ આ આનંદની વર્ષામાં ભીંજાતા હતા. પુત્ર- પુત્રવધુને , નગરને , પરિવાર ને કંઈ કેટલીયે કલ્પનાઓમાં નિહાળતા બેઠા હતા ત્યાં પોતાના ચરણોને પુષ્પનો સ્પર્શ થયો.
જોયું તો- શ્રીરામ નીચે નમી તેમને વંદન કરતા હતા.
તરત જ માતાજીએ તેમને આશીર્વાદ આપી ઉભા કર્યા.
તેમના નયનોમાંથી આનંદના અતીરેક સમી સરવાણીઓ વહી આવી.
અને પુત્રને તેમને ગળે લગાડ્યા.
બોલ્યા- " આજે મારા આનંદની ચરમસીમા છે. બ્રાહ્મણોએ મુહુર્ત જોયું હશે. ક્યારે એ શુભ ઘડી છે પુત્ર? "

શ્રીરામ કંઇક વિચારતા તેમની સામે જોઈ રહ્યા. આટલા આનંદની ઘડીમાં માતાને ક્યા શબ્દોથી પરિસ્થિતિ સમજાવશે ! જેમ તરસ્યા ચાતક- ચાતકી આતુરતાથી શરદ ઋતુના સ્વાતી નક્ષત્રની રાહ જુએ છે, તેવી જ આતુરતા તેમને માતાની આંખોમાં જણાઈ.
માતાજી ફરી બોલ્યા- " અરે ! મેં પણ વિચાર્યું નહિ. તે સવારથી કશું ખાધું નહિ હોય. થોડું જમીને તારા પિતાજી પાસે જા. મોડું થઇ ગયું છે. "

હવે શ્રીરામ માતાને આઘાત ન લાગે તે રીતે સસ્મિત બોલ્યા - " માતા ! મને જે રાજ્ય મળ્યું છે તેની તુલનામાં  આ રાજ્ય તો બહુ નાનું ગણાય. સર્વ પ્રકારે ઉપયોગી અને હિતકારી એવું વનશ્રીનું રાજ્ય પિતાશ્રી પાસેથી મેળવ્યું છે. માતા ! મને પ્રસન્ન ભાવે આજ્ઞા આપો. જેથી મારો વનવાસ મંગલદાયી બની રહે. મનમાં ઓછું આણશો નહિ. અને મારી ચિંતા તો બિલકુલ કરશો જ નહિ. મને ગમતું જ થયું છે. અને ચૌદ વર્ષ તો ક્યાં નીકળી જશે - ખબર પણ નહિ પડે ! પિતાજીનું વચન પાલન કરીને તરત જ આપના ચરણોના દર્શન કરવા આવી પહોચીશ. "

શ્રીરામના લતા-સુકોમલ વચનો પણ સાંભળતા વેત માતાને બાણ સમાન લાગ્યા. શ્રીરામના વચને- વચને માતાનો ચહેરો ફિક્કો પડતો ગયો. આઘાતને લીધે તેમનું હૃદય કોઈ પ્રતિભાવ આપવા સક્ષમ ન રહ્યું. તેઓ સજલ નેત્રે ધ્રુજી ઉઠ્યા. પુત્રનું સ્મિત વદન જોઈ તેમનાથી એટલું જ કહેવાયું -
" પિતાશ્રીને તું પ્રાણ પ્રિય છે. આ રાજ્યાભિષેક પણ તેમની જ ઈચ્છા અનુસાર ગોઠવાયો છે. જયારે એ ઘડી આટલી નિકટ છે, ત્યારે એવું તે શું થઈ ગયું કે-- મને વિગતસર બધું કહે.  "

એટલામાં દ્વાર પાસે ઉભેલા સચીવપુત્ર આવ્યા અને અત થી ઇતિ સુધી બધું માતાને જણાવ્યું.
બધું જાણ્યા બાદ માતા તો સ્તબ્ધ ! ના પુત્રને રોકી શકે, ના તેમને " જાઓ " કહી શકે !
વિધિની ગતિ વક્ર ! - એમ અમસ્તું જ થોડું કહેવાયું છે !

જય સિયારામ..

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth