Saturday, December 31, 2011

તાડકા વધ

જય સિયારામ..

વિશ્વામિત્રજી કુંવરોને લઈને ચાલતા થયા..આશ્રમના માર્ગમાં જતા અનેક વ્યાધિઓ પાર કરવાની હતી.
માર્ગમાં તેઓ બંને ભાઈઓને વ્યાધિઓથી પરિચિત કરાવેછે.
અડાબીડ જંગલો  પસાર કરતા કરતા તેઓ એક વિકટ વનમાં આવી પહોંચ્યાં.
અહી પક્ષીઓનો કલરવ સંભળાતો નથી , પવન તેની મરજી મુજબ સુસવાટા મારી શકતો નથી.
કે પછી કોઈ પણ મુસાફર સામાન્યત: પસાર થઇ શકતો નથી.
આવો બિહામણો વન જોઈ રામજી બોલ્યા,"ગુરુશ્રેષ્ઠ,આ વન કેમ બધાથી વિચિત્ર લાગેછે? "
વિશ્વામિત્રજી-"વત્સ, આ તાડીકાવન છે...અહી જ તાડકા નામની મહા-ભયંકર રાક્ષશી રહેછે, જે
અહીંથી પસાર થનારને પોતાનું ભોજન બનાવેછે..તે આપણાં માર્ગમાં પણ અવશ્ય બાધારૂપ બનશે.."
એટલી વારમાં તો હસ્તિપાદ જેવો અવાજ સંભળાયો. અને ધરતી પણ ધ્રુજવા લાગી.
વિશ્વામિત્રજી-"સાવધાન કુંવરો, તે આવી રહીછે..તે કંઈ પણ કરી શકેછે.."
ત્યાંતો તાડકા સામે આવી ઉભી રહી...-પુરા ત્રણ વૃક્ષ જેટલી તે કદાવર હતી..
ઝાડના મૂળ જેવા તેના કેશ હવામાં ફંગોળાતા હતા..તેનું મુખ કદરૂપું હતું.
અને તેની રક્તવર્ણી આંખો બિહામણી હતી...લાંબા લાંબા દાંત મોંની બહાર પણ દ્રશ્યમાન થતા હતા..અને જાણે તેનું પૂરું શરીર ઝાડની વડવાઈઓથી  ઘેરાયેલું હતું..
એક ભયાનક ગર્જના કરી તે બોલી,"વિશ્વામિત્ર, આજે તારું મોત તને બોલાવી લાવ્યું કે શું?આજે તો નક્કી મને સારું ભોજન મળશે..આ કોમળ યુવકોના ધનુષ-બાણ તમને બચાવી નહિ શકે.."-તેનું અટ્ટહાસ્ય ચાલુ જ હતું..અને તેના પ્રહારો પણ ચાલુ થઇ ગયા..
વિશ્વામિત્રજીએ  કુંવરો ને આજ્ઞા આપી,"પુત્રો, આ રાક્ષશી હવે લોકો માટે સમસ્યા બની ચુકીછે. તેથી તેને મારવાથી સ્ત્રી-હત્યાનું પાપ નહિ લાગે. તેનો અંત આણવો જ પડશે.."
ગુરુજીની આજ્ઞા મળતા જ લક્ષ્મણજીએ તીર છોડ્યું. જે સીધું તાડકાના મસ્તક પર જઈ વાગ્યું.પરંતુ તેનાથી તેને કોઈ અસર થતી હોય તેવું લાગ્યું નહિ..સોય જેવા તીરને તેણે વાળીને ફેકી દીધું, અને વિકરાળ મુખ ખોલી તે તેઓને પકડવા દોડી..
આ દરમિયાન જ રામજીએ તીર છોડ્યું. તે તેને સહન ન  કરી શકી
અને વાયુ બની હવામાં પથરાઈ ગઈ..

पहले बाणके रामने लिया ताड़का नाम, निर्विघ्नं ताडकाको पहुँचाया सुरधाम...
असुरी ताड़का थी बडभागी , जिसको मुक्ति मिली बिन-मागी..|| 

તાડકાને સ્થાને એક અપ્સરા ઉપસ્થિત થઇ,"ગુરુવર, આપની સાથે આવેલા આ શ્રીચરણો કોણ છે?"
ગુરુજી- "તાડકા, તેઓ શ્રીરામ છે, જેણે તને મુક્તિ અપાવી. અને એ છે લક્ષ્મણ."
"હે રામ, આપને મારા પ્રણામ.." કહી તે અંતર્ધ્યાન થઇ ગઈ..


જય સિયારામ..

Monday, December 12, 2011

મહર્ષિ વિશ્વામિત્ર આગમન..

જય સિયારામ...

આનંદ-પ્રમોદમાં દિવસો વીતેછે...સુમસાન મહેલોમાં શાંતિની જગ્યા ખીલખીલાહટે લીધીછે. બધા હળી-મળીને રહેછે.

આવે સમયે અનુચર મહર્ષિ વિશ્વામિત્રના આગમનની સુચના લઇ રાજા દશરથ પાસે આવ્યો.
તેઓએ તેમને આદર સહીત અંદર લઇ આવવાની આજ્ઞા કરી.
રાજાએ તેમના ચરણ પખાળ્યા  અને આગતા-સ્વાગતા કરી..
વિશ્રાંતિ બાદ એમણે એમના આવવાનું પ્રયોજન પૂછ્યું.

મુનિજી કહે,"રાજન, અમે ઋષીઓ સંગઠિત થઈને આણ્વિક શસ્ત્રોની સિદ્ધિ માટે એક મહાયજ્ઞ કરી રહ્યા છીએ. પરંતુ લંકાના રાજા રાવણના રાક્ષસો - મારીચ અને સુબાહુ પ્રતિદિન યજ્ઞ ધ્વસ્ત કરી દે છે.
 યજ્ઞના પવિત્ર કુંડમાં રક્ત અને પશુબલી ફેકેછે. તેઓ ઋષિઓને રંજાડવાનું પણ છોડતા નથી."

"તો મારા માટે શી આજ્ઞા છે ગુરુદેવ ?" -રાજાએ હાથ જોડતા પૂછ્યું.

"પહેલા મને વચન આપો કે હું જે યાચીશ તે મળશે  .."-મુનિજી વદ્યા.

"આપની સેવા ખાતર હું મારું મસ્તક પણ ઉતારી આપવા તૈયાર છું.." -રાજાજી બોલ્યા," હું આપને વચનબદ્ધ છું કે આપ જે બોલશો તે તુરત જ થશે.."

"તો મને રામ-લક્ષ્મણ કે જે શસ્ત્રોમાં પારંગત છે તેને લઇ જવા દો. તેઓ રાક્ષસો સામે લડશે."-ઋષિજી વદ્યા.

"આ શું બોલ્યા દેવ? હજુ તો તેઓ નાના છે. હું જાતે પુરી સેના સહીત રાક્ષસોનો સંહાર કરીશ."-રાજાએ વિનંતી કરી.
 આ સાંભળી ગુરુજી ક્રોધિત થયા અને કહેવા લાગ્યા," પહેલા વચનબદ્ધ થવું અને પછી પીછેહઠ કરવી  -શું સુર્યવંશીની આ જ ગરિમા છે?"

રાજાજીએ મુનિને ખુબ બધી વાર મનાવ્યા. પરંતુ તે હઠ પકડી રહ્યા. અંતે ગુરુ વશિષ્ઠની સમજાવટથી મહારાજ તેમને મોકલવા તૈયાર થયા.

મહેલમાં ફરી નીરવ શાંતિ છવાઈ રહી..ઝરૂખામાંથી  માતાઓ રામ-લક્ષ્મણને જતા જુએછે. અને પોતાના અશ્રુ-બિંદુઓને સાચવેછે. ...
જાણે બધાનું હૃદય ગાતું હતું-

राम बिना नहीं जाए जीया, बिन राम कहीं भी जिया नहीं बहले..
रात हो -दिन हो -महेल या सभागृह, रामका दर्शन चाहिए पहले..
रामके रूपमें विष्णु दिखे मुझे , पागल कोई कहे तो कहले,
में तो हु अपने रामका पागल, पागल कोई कहे तो कहले...!!


જય સિયારામ...








Tuesday, December 6, 2011

ગૃહ-આનંદ

જય સિયારામ..

મહારાજ દશરથ સહીત બધા હવે ક્ષણોની ગણતરીમાં પડ્યા છે કે હમણાં રથ મહેલના પટાંગણમાં આવી જશે..હમણાં અમે અમારા પુત્રોને મળીશું..પરંતુ તેમને ઓળખીશું કેમ એવી મીઠી મુંજવણ બધાને સતાવેછે.


ત્યાં અનુચરે  આવીને કહ્યુકે કુંવરોના રથે પહેલો દ્વાર પાર કરી લીધો છે. થોડીવાર પછી બીજા દ્વારની પણ સુચના મળી. .રાણીઓએ મહેલની  સજાવટને આખરી ઓપ આપ્યો.  કૈકેયીજીએ તો પુષ્પનો પથ બનાવ્યો. અને સુમિત્રાજીએ દીવડાઓથી મહેલને શણગારી લીધો...તો માતા કૌશલ્યાજી રંગોળી પુરેછે.
ઘણા વર્ષે પુત્રોના મુખ નિહાળવાની ઈચ્છા આજે પુરી થશે એ વિચારે જ માતાઓના હ્રદય  પુલકિત થઇ ઉઠ્યા..

થોડી જ વારમાં કુંવરોનો રથ નગરમાં આવી પહોંચ્યો...ત્યાં દાસી મંથરા ભરતનાં સ્વાગત  માટે ઉભી હતી..તેની પાસે રથ રોકવામાં આવ્યો..તેણે સીધો જ શ્રીરામ પર પુષ્પનો અભિષેક કર્યો,"આવ પુત્ર, કેટલા વર્ષ થઇ ગયા તને જોયો એને..ભરત, તારી માતાએ તારી બહુ રાહ જોયેલીછે.." - આ સાંભળી બધા હસવા લાગ્યા..શત્રુઘ્ન કહે,"મંથરા, એ તો શ્રીરામ છે...ભરત-જી તેમની બાજુમાં છે."....આટલું સાંભળતા તો તે અવાચક બની રોતા-રોતા કશુક બબડતી મહેલ તરફ જવા લાગી..
રામજી કહે,"ભરત, તને ગર્વ હોવો જોઈએ કે તને આટલો સ્નેહ મંથરા તરફથી મળેછે.."
ભરત-"પરંતુ મને આ સ્નેહથી ક્યારેક ખુબ જ ડર લાગેછે, ભાઈ."
બધા નગરજનોએ સ્વાગત કર્યું અને ગુરુદેવ સહીત બધા મહેલમાં પ્રવેશ્યા..જ્યાં ઋષિ વશિષ્ઠએ ભાઈઓને પિતાજીને મળવાની આજ્ઞા આપી.

રાજા દશરથની ભીની આંખો તરત જ પુત્રોને ઓળખવા લાગી. એટલામાં તો બધી માતાઓ પણ આવી પહોચી.અને કહે,"ક્ષમા કરશો ગુરુદેવ, પરંતુ હવે અમારાથી પુત્રોને મળ્યા વિના રહેવાતું નહોતું.."
ગુરુજીએ ચારે ભાઈઓને કહ્યું,"આજે તમે બધી શિક્ષાઓ લઇ લીધીછે..હું તમને મારા સર્વે બંધનો એવં આજ્ઞા માંથી મુક્ત કરુછું.."

સૌ પ્રથમ બધા પિતાને ભેટી પડ્યા..કોઈ કશું બોલતું નથી. ત્યાર પછી શ્રીરામ  સીધા જ માતા આગળ ગયા. તેઓ પહેલા માતા કૈકેયી પાસે ગયા..
"મારો રામ..." કહી કૈકેયીજીએ તેમનું મસ્તક ચુમી લીધું...ભાઈઓએ બધાની ચરણરજ લીધી. અને માતાઓએ મન ભરીને પુત્રોને નિહાળ્યા...

બધા જમવા બેઠા .શત્રુઘ્નજીએ  લક્ષ્મણજીની થાળીમાંથી તેમના ધ્યાન વગર ખીર લીધી..અને બધાના ચહેરા પર સ્મિત આવી ગયું..આ જોઈ  શ્રીરામે તેમની થાળી લક્ષ્મણજીને આપી દીધી અને પોતે માતાના હાથે ભોજન લીધું...આજે આખું અયોધ્યા ખુબ જ આનંદિત હતું....


જય સિયારામ..

Sunday, November 27, 2011

ગૃહ પ્રસ્થાન...

જય સિયારામ..

રથ આશ્રમના પ્રવેશદ્વારે ઉભો રહ્યો અને સુમંતજી થોડા સેવકો સાથે નીચે ઉતર્યા.....
ગુરુદેવને પ્રણામ કર્યા..અને આસન ગ્રહણ કર્યું...
થોડી વારમાં અયોધ્યાના રાજકુમારો રાજસી વસ્ત્રોમાં સુશોભિત થઈને ,કરમાં ધનુષ-બાણ લઈને બધા સામે પ્રકટ થઇ રહ્યા..આશ્રમમાં તો જાણે વસંત ઉતરી હોય તેવું વાતાવરણ સર્જાયું..
રામજી સહીત બધા ભાઈઓ ગુરુમાતા પાસે પહેલા આજ્ઞા લેવા ગયા..
ગુરુમાતા ભાવ-વિભોર થઇ ગયા.કહે, " વર્ષોથી મારું માત્ર આ જ કાર્ય રહે છે..વાત્સલ્યથી પાળેલા સંતાનો એક દિવસ નિજ-ગૃહે પ્રસ્થાન કરે છે..તમે બધા મને છોડીને જતા રહેશો પછી ફરી તમારા જેવું કોઈ આવશે,મારે તો તેની જ વાટ જોવાની...."

राम हे जगमे अन्योत्तम,
कोई रामके जैसा और न होना..
राजीव-लोचन , स्नेहिल , कोमल
पावन ,सुन्दर, सरस-सलोना...
राम-सी निधि आँचलमें जो आये,
 तो चाहे कोन उस निधिको खोना..
राम-बिछोह्की बेला पर नहीं रोके रुके गुरुमातका रोना..
माताका  मनतो वैसे ही भावुक, पत्थर को भी आ जाये रोना.


ગુરુદેવને પ્રણામ કરી, તેમની ચરણરજ લીધી..બધા મિત્રોને મળ્યા બાદ ગુરુદેવ સાથે ચારે કુમારો ચાલી નીકળ્યા..અને આશ્રમને રડતો છોડી ગયા..

ભાઈઓનો રથ હવે  અયોધ્યા તરફ વળ્યો..
અવધમાં તો અનેરા ઉત્સવ જેવું વાતાવરણ છે..

अयोध्यामे आनंद छायो हे, चारो राजकुँवर घर आये हैं....

"સાવધાન.,
સૂર્યવંશી મહારાજ દશરથના ચારે રાજકુંવરો ગુરુદેવ વશિષ્ઠજીની સાથે  અયોધ્યાની સરહદે પધારી રહ્યા છે...",સરહદે રહેલા સૈનિકની સુચના આખા અયોધ્યામાં પ્રસરી રહી...


જય સિયારામ..


Friday, November 11, 2011

શિક્ષા પુર્ણાહુતી..

જય સિયારામ

ગુરુજીએ એક છેલ્લી શિક્ષા આપતા હતા..પોતાના આશ્રમમાં રહેલી નંદિની ગાય વિષે બધાને માહિતી આપતા હતા. નંદિની એ સમુદ્ર-મંથન સમયે પ્રાપ્ત થયેલ ગાય-કામધેનુની પુત્રી હતી..નંદિની ખુબ જ મુલ્યવાન હતી..પોતાની ઈચ્છા મુજબ ધારે તે કરી શકતી.
ઋષિએ તેમને એક જૂની કથા કહી સંભળાવી:
એક સમયની વાત છે..જયારે ઋષિ વિશ્વામિત્ર મહારાજ હતા..તેઓ એક યુદ્ધ જીતીને પોતાના સેનાનીઓ સાથે આશ્રમે આવેલા..ગુરુ વશિષ્ઠએ વિવેક કરતા કહ્યું,"મહારાજ,આપ અહી વિશ્રામ કરો..ભોજન લઈને જશો."
આ વાત સાંભળી રાજા વિશ્વામિત્રને અહંકાર થયો.કહે,"ગુરુદેવ, અમારી  સાથે અમારી  આખી સેના છે..અને એમના વિશ્રામની વાત તો દુર રહી, પણ તમે એમને અલ્પાહાર પણ નહિ આપી શકો.."
આમ કહી  તેઓ અટ્ટહાસ્ય કરવા લાગ્યા.
આ વાતે ઋષિ પણ હસ્યા..પરંતુ આ શું? ઋષિ વશિષ્ઠની પરિસ્થિતિ સમજી ગયેલી નંદિનીએ પોતાની દિવ્ય શક્તિ દ્વારા મહેલ ઉભો કરી દીધો અને બત્રીસ જાતના ભોજન પણ બની ગયા...
પોતાની આંખ સામે આવો ચમત્કાર જોઈ મહારાજ વિશ્વામીત્રથી રહેવાયું નહિ.તેને ગુરુજી ને કહ્યું,"આવી કીમતી ગાય અહી શું કરેછે? આને તો અમારી પાસે હોવું જોઈએ..."-આમ કહી તેઓ નંદિનીને લેવા ધસ્યા..
નંદિનીએ વશિષ્ઠજીને હાથ જોડ્યા...,"મારી આમની પાસે જવાની ઈચ્છા નથી..આપ તેમને રોકો.."
વશિષ્ઠજીએ  મનોમન ઉત્તર વાળ્યો,"અત્યારે તેઓ અમારા અતિથી છે.મારાથી એમને ના ન પાડી શકાય.."
નંદિનીએ ફરી મનોમન કહ્યું,"પણ હું તો મારી રક્ષા કરી શકું ને?"
ગુરુજીની આંખોમાં તેને હકાર દેખાયો...ગાયને  દોરી વડે ખેચતા રાજા વિશ્વામિત્રનું બળ પળમાં ગાયબ થઇ ગયું...નંદિનીએ એક ડગલું પણ ન ભર્યું..
આ જોઈ વિશ્વામિત્રને ગુસ્સો આવ્યો...તેણે ગાયને ગુસ્સામાં લઇ જવાનો પ્રયત્ન કર્યો..
પરંતુ નંદિનીએ તેની  દિવ્ય શક્તિથી રાજા પર ચક્ર ચલાવ્યું...
 વિશ્વામિત્ર રાજાએ સામે ઘાતક શાસ્ત્ર ઉપાડ્યું., પણ ચક્ર સામે તેઓ ફાવ્યા નહિ..આખરે પરાજિત થઈને તેઓ ગાયના પગમાં પડ્યા.અને ગુરુદેવ પાસે ક્ષમા માંગી.
नंदिनिने अपनी रक्षाका मुनिवरसे आदेश जो पाया,
लोभी अहंकारी राजापे क्रोधित होकर चक्र चलाया..
विश्वामित्रने प्रत्युत्तरमे गौ पर घातक शास्त्र उठाया,
लज्जित होके पराजित होके अभिमानिने शीश जुकाया,
लज्जित होके एक राजाने गौ के आगे शीश जुकाया..


આ ઘટના બાદ વિશ્વામિત્ર રાજાએ રાજપાટ  છોડી ભગવદ-સ્મરણમાં ધ્યાન લગાવ્યું અને સ્વયં એક સિદ્ધ મહર્ષિ બની ગયા છે..--ગુરુદેવે કહ્યું.

હજુ ગુરુદેવે વાત પૂરી કરી ના કરી ત્યાં એક શિષ્ય દોડતો આવ્યો કહે,"ગુરુદેવ, જલ્દી ચાલો..એક રાજા નંદિનીને બળજબરી પૂર્વક લઇ જઈ રહ્યા છે.."
બધા તાબડતોબ ત્યાં પહોચ્યા..જઈને જુએછે  તો એક રાજા નંદિનીને લઇ જતા હતા..ગુરુદેવે તેમને સમજાવ્યા, પણ તે ન માન્યા..આ જોઈ આશ્રમના શિષ્યો  સહીત ચારે સૂર્યવંશીઓએ ધનુષ-બાણ લઇ લીધા.. રાજાનો પડકાર સાંભળી બીજા શિષ્યો પાછા ખસી ગયા પરંતુ રામજી સહીત ચારેએ તેના પર બાણ ચલાવવા પ્રયત્ન કર્યો.
આ જોઈ ઋષિજી હસ્યા....કહે,"ધન્ય છે ચારે યોદ્ધાઓને....રામ, આ રાજા મારા શિષ્ય રહી ચુક્યા છે..આ તો એક કસોટી હતી,જેને તમે ચારેયે બહુ ખુબીથી નીભાવીછે..હવે તમારી બધી પ્રકારની શિક્ષા પૂર્ણ થઇ..."

 ઋષિજીનું વાક્ય પૂર્ણ થાય એ પહેલા અયોધ્યાનો રથ ધૂળ ઉડાડતો આશ્રમના પ્રવેશદ્વારે આવી પહોચ્યો...


 જય સિયારામ..

Thursday, October 27, 2011

શિક્ષા પૂર્ણાહૂતિ



જય સિયારામ....

આ બાજુ હવે ચારે ભાઈઓ કિશોરોમાથી યુવાન બન્યાછે..જેમાં રામજીની શોભા તો કંઈક અનેરી જ છે....
સુંદર પુષ્પ જેવું મુખ જે જોતા જ મન શાતા અનુભવે..ખીલેલા કમળ જેવી બે આંખોની જ્યોતિ સામે વાત કરનારને છેવટ સુધી જકડી રાખે,અને વાણીમાં વિનય..
એક આદર્શ માનવમાં કેવા ગુણો હોવા જોઈએ તેનો જાણે જવાબ છે શ્રીરામ..અને ભગવાં વસ્ત્રોમાં તો જાણે કોઈ પ્રખર મુનિ જ સાધના કરેછે તેવું લાગે..

अदभूत हे महिमा दो अक्षरके नामकी....
રામજીની સાથે લક્ષ્મણ પણ એવા જ સુંદર...રામજી  શ્યામ તો લક્ષ્મણ  ગૌર..પરંતુ ક્રોધની માત્રા લક્ષ્મણમાં થોડી વધારેછે..
.હર હંમેશ મોટાભાઈની આજ્ઞા પાળવી અને તેમની સાથે જ રહેવું તે જ જાણે તેમનો ધર્મ છે..
તો ભરત પણ ધર્મની રક્ષા માટે જ જન્મ્યાછે..અને તેમનો પડછાયો છે શત્રુઘ્ન..
ચારેમાં બળ,બુદ્ધિ અને વિદ્યાનું દેવી સરસ્વતી દ્વારા યજ્ઞફળ સિદ્ધ થયુંછે..

પરંતુ ત્રિલોકના
સ્વામિનું આવું વર્ણન એક ચરિત્ર આગળ ઝાખું પડવાનું હતું..તે ચરિત્ર હતું-વૈદેહીનું..
રાજા જનકની આ પુત્રી તેના ગુણો અને વ્યક્તિત્વથી બધી જ્યોતિઓને ઝાંખી પાડી દેતી હતી...કામદેવની સો પત્નીઓનું રૂપ પણ મૈથિલી આગળ પાણી ભરતું હતું...
 જેને બ્રહ્માંડના કોઈ શબ્દકોશના અક્ષરો  ભેગા થઈને પણ વર્ણવવા સક્ષમ નથી, એવું છે વૈદેહીનું વ્યક્તિત્વ..


રાજા જનકને પોતાની પુત્રી માટે હમેશા એક જ વિચાર આવતો.. એમની પુત્રીના ગુણોનું સમ્માન કરવાવાળું કોઈ એમને મળશે કે કેમ એવું લાગ્યા કરતુ..આ જ કારણે તેમને મનમાં સીતાજીના વિવાહ માટે એક યોજના બનાવી લીધી હતી.

થોડા દિવસો બાદ ચારે ભાઈઓની શિક્ષા પુરી થઇ. અને ગુરુદેવે મહારાજ દશરથને સુચના અપાવી દીધી...
આ સમાચારે બધા આશ્રમવાસીઓના હૃદયમાં પીડા આપી દીધી.આટલા વર્ષો જેની સાથે એક સદસ્ય તરીકે રહ્યા હોય , જેના  એક-એક હાવ-ભાવને ઓળખતા હોય, અને જીવનની બધી જ સારી-નરસી પળોને જેની સાથે વહેચી હોય તેનાથી સદા માટે  દુર થવું આટલું અઘરું હશે તેની જાણ તો ખુદ શ્રી રામને પણ નહોતી.
અયોધ્યામાંથી વહેલી સવારે સમાચાર આવી ગયા હતા કે  ચારે ભાઈઓને લેવા સુમંતજીનો રથ નીકળી ગયોછે.
બધા આશ્રમવાસીઓ અયોધ્યા તરફના રસ્તે મીટ માંડી રહ્યા..


 જય સિયારામ....

Sunday, October 23, 2011

માતૃહૃદય..

જય સિયારામ...

દિવસો,મહિનાઓ,વર્ષો વીતી ગયા...
એકબાજુ પુત્રો વિદ્યાભ્યાસ કરેછે તો બીજી બાજુ માતાઓના હૃદયમાં વલોપાત ઉદભવેછે..ત્રણે માતાઓ એક-બીજીને પૂછેછે,"આ તે કેવી શિક્ષા છે! એમને વ્હાલ કરવાનું વખત છે ત્યારેજ આશ્રમના કઠોર તાપ કરવાના?"
રાજા દશરથ પણ વર્ષોથી પુત્રોની પ્રતીક્ષામાં જ રહેછે..
આખરે કૈકેયીજીના કહેવાથી મહારાજ પોતાની રાણીઓને લઈને આશ્રમે પુત્રોને મળવા ગયા...
ઋષિ વશિષ્ઠ  પાસે જઈને પુત્રોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી..
ઋષિજીએ ચારેને આસન ગ્રહણ કરવા કહ્યું,પરંતુ માતાઓની દ્રષ્ટિ તો તેમના સંતાનોને જોવા ચારે બાજુ વીચરતી હતી..
ઋષિજી બોલ્યા," દેવીઓ, હું જાણુંછું કે આપને આપના પુત્રોને મળવાનું ખુબ મન છે..પરંતુ હું કશું જ કરી શકું તેમ નથી..આશ્રમના નિયમોથી હું બાધ્ય છું...તેઓ તેમની સંપૂર્ણ શિક્ષા ગ્રહણ ના કરીલે ત્યાંસુધી કોઈ પરિવારજન તેમને નહિ મળી શકે.."

માતાઓની આંખોમાં નિરાશાનો રંગ પારખી ગુરુજીએ તેમને મનાવવાની ચેષ્ટા કરી,"હવે નિરાશ ના થશો માતાઓ!..જુઓ હવે કઈ એ તમારા નાના ભૂલકા નથી!..મહેલ છોડીને આવેલા નાના બાળકો હવે તો શાસ્ત્રોમાં પારંગત યુવાનો થઇ ગયાછે...!..અને હું નથી ઈચ્છતો કે આ સમયે તમારું મિલન તેમને પોતાના રાહમાંથી વિચલિત કરે..હવે થોડા દિવસો વધુ પ્રતીક્ષા કરીલો..થોડા મહિના પછી તેઓ તમારી પાસે જ રહેવાના છે..."

મહારાજ દશરથે હાથ જોડ્યા,"જેવું આપ કહો ગુરુદેવ!"..ગુરુમાતાને પ્રણામ કરી ચારે ઉદાસ વદને મહેલ તરફ જવા નીકળ્યા..પરંતુ આ વખતે બધા પાસે એક આશા હતી કે હવે માત્ર મહિનાઓની જ  ગણતરી કરવાની છે..

જય સિયારામ...

Tuesday, October 4, 2011

પ્રભુની પરિક્ષા..

જય સિયારામ...

રામજી અને તેમના ભાઈઓ હવે સર્વ શસ્ત્રવિદ્યામાં પારંગત થઇ ચુક્યા હતા..પરંતુ તેમના ગુરુજીએ એ પણ જોવાનું હતું કે પોતાની હાજરી ના હોય ત્યારે પણ તેઓ આટલા જ પરાક્રમી હોય...આ માટે તેમણે સ્વયં જગતના પાલનહારની કસોટી કરવાની હતી.
રોજની દિનચર્યા મુજબ બધા શિષ્યો સવારમાં નદીએ ગાયોને લઈને ગયા..બધા ઋષિમુનીઓ પણ સૂર્યનમસ્કાર કરતા હતા..નાના શિષ્યો પણ ગુરુજીને અનુસરતા હતા..ગાયોને નવડાવતા નવડાવતા કોઈ કોઈ વાર બાળકો એક-બીજા પર પાણી ઉડાડી લેતા હતા અને ભવિષ્ય માટેની યાદો બનાવતા જતા હતા..
આવા સમયે અચાનક એક મુનિવરની ચીસ સંભળાઈ..બધાનું ધ્યાન તે તરફ ગયું...જોયું તો એક મહાકાય મગર મુનિને પાણીમાં તાણી જતો હતો...બધા શિષ્યો ડરના માર્યા પાણીની બહાર ભાગવા માંડ્યા..જે શિષ્યોને પરિસ્થિતિનો તાગ મળ્યો તે પણ આજુ-બાજુ કોઈ સાધન માટે દોડવા લાગ્યા અને બાકીના આશ્રમે મદદ માટે ભાગ્યા...
પરંતુ રામજીએ પાણીમાં જ મગર સાથે બાથ ભીડી..ઘણી જહેમત પછી મુનિવરને મગરે છોડ્યા..
પરંતુ આ શું? મગર ને કોઈ જ ઈજા થઇ હોઈ એવું જણાતું નહોતું..રામજીએ મુનીવર સામે જોયું..તે પણ મંદ મુસ્કાતા હોય તેવું લાગ્યું...સામેથી આવતા ગુરુદેવ સામે રામજીએ પ્રશ્નાર્થ નજરે જોયું...
ગુરુદેવ બોલ્યા,"અભિનંદન વત્સ,તે પરિક્ષાને ઉતીર્ણ કરી છે..આ મગર આપણાજ આશ્રમના ભૂતપૂર્વ શિષ્યોએ બનાવેલો છે... તે પરિસ્થિતિને બરાબર સમજી અને એ પણ જાણ્યું કે અમુક પરિસ્થિતિમાં વિના શસ્ત્ર પણ કાર્ય થઇ શકે છે...ધન્ય છે,પુત્ર..હવે અસ્ત્રો-શસ્ત્રોની તમારી વિદ્યા પૂર્ણ થઇ ગઈ છે..."
રામજી અને બીજા શિષ્યોએ ગુરુજીને વંદન કર્યું...


જય સિયારામ....

Friday, September 16, 2011

હૃદય પરિવર્તન

જય સિયારામ...
રામજી સાથેની મૈત્રીથી વિવશ્વાન સારા માર્ગે આવવા લાગ્યો. તેના મનમાં રહેલી નબળાઈઓ દુર થવા લાગી..અને ધીમે ધીમે પરિસ્થિતિને અનુરૂપ પણ થવા માંડ્યો..તેનું મન આદરથી જ્ઞાન ગ્રહણ કરવા લાગ્યું .
એક વાર વિવશ્વાન તેના બીજા મિત્રો સાથે ખેતરે ગયો હતો . સાંજ પડી,વરસાદી વાતાવરણ હતું..વીજળીના કડાકા સાંભળીને બધા નાના શિષ્યો આશ્રમ તરફ પાછા વળ્યા...તેઓ આશ્રમે આવ્યા,પરંતુ ગુરુમાતા કહે,"તમારી સાથે વિવશ્વાન પણ હતો ને? તે ક્યાં રોકાઈ ગયો?"
ભયભીત થયેલા શિષ્યોમાંથી એક કહે,"માતા, અમે પાછા વળ્યા ત્યારે એ અમારી સાથે જ હતો..ખબર નહિ અહી આવતા આવતા ક્યાં અટવાઈ ગયો!"
આ સાંભળી ગુરુમાતાને ફાળ પડી..તે વ્યાકુળ દશામાં ગુરુજી આગળ દોડી ગયા,"ગુરુદેવ, વિવશ્વાન ખેતરેથી પાછો  નથી આવ્યો..તમે જલ્દી જાઓ ક્યાંક તે આ વર્ષામાં અટવાઈ ના ગયો હોય!"
ગુરુ વશિષ્ઠ  તાબડતોબ બીજા મુનીઓ સાથે તેને શોધવા ગયા...ખેતર તરફ આવીને તેમણે બુમ પાડી,'વીવસ્વાન, પુત્ર વીવસ્વાન!' પણ કોઈ પ્રત્યાઘાત ના મળ્યો! તેમણે ફરી બુમ પાડી..આ વખતે ખેતરના શેઢેથી સામો જવાબ મળ્યો . ત્યાં જઈને જોયું તો ગુરુજી અવાચક થઇ ગયા...આશ્રમ તરફ આવતા પાણીને રોકવા બનાવેલી માટીની પાળ પર વીવસ્વાન અઢેલીને બેઠો હતો..!!
"અહી શું કરેછે વત્સ?"-ગુરુજી તેની પાસે જતા બોલ્યા..
"ગુરુજી, અમે જયારે આશ્રમે પાછા ફરતા હતા ત્યારે અચાનક મારું ધ્યાન અહી પડ્યું.જોયું તો ભારે વરસાદને લીધે આ પાળમાં મોટું ગાબડું પડી ગયું હતું. અને ધસમસતું પાણી આશ્રમ તરફ જતું હતું. મેં મિત્રોને બુમ પાડેલી પણ તેઓ ખુબ આગળ નીકળી ગયા હતા. મેં ગાબડું પુરવા યત્ન કર્યો પણ હું સફળ ના થયો.આખરે આ ગાબડામાંથી આવતું પાણી બંધ કરવા હું જાતેજ આડો બેસી ગયો."-વિવસ્વાન નિખાલસતાથી બોલ્યો..
ગુરુજીએ બીજા મુનિઓની મદદથી પાળનું સમારકામ કર્યું અને વિવસ્વાનને લઈને આશ્રમ તરફ ચાલતા થયા. દુરથી બધાને આવતા જોઈ ગુરુમાતાનો જીવ નીચે બેઠો. તેમણે વિવસ્વાનને ગળે લગાડી લીધો..
ગુરુજીની વાત સાંભળ્યા બાદ સૌ કોઈ વિવસ્વાનને માનથી જોવા માંડ્યું..

જય સિયારામ...




Friday, September 2, 2011

હૃદય પરિવર્તન

જય સીયારામ..
આશ્રમ નું જીવન સુખરૂપ વીતવા લાગ્યું...માતા-પિતાથી દુર હોવાની પ્રતીતિને ચારે બાળકોએ દુર હડસેલતા શીખી લીધું....જાણે ગુરુને જ પિતા અને ગુરુમાતાને માતા સમાન માનવા લાગ્યા..
ગુરુજીએ પણ ખુબ જ વાત્સલ્ય સાથે તેમના શિષ્યોને વિદ્યામાં પારંગત કર્યા..પરંતુ અમુક શિષ્યોનું મન કયારેક  હજુ માતા-પિતાને તેમની સાથે તોલતું..
ચારે ભાઈઓએ આશ્રમને પોતાનું ઘર જ ગણ્યું.સવારમાં વ્રુક્ષોને પાણી પાવું,ગાયોને ચરાવવા લઇ જવી,ભિક્ષા માંગવાનું કામ તેઓ કરતા..ઘણી વાર તો ગુરુમાતા સ્નેહથી ઠપકો પણ આપતા..કહેતા,"વત્સ, આ બધું આશ્રમનું કામ જો તમે કરવા લાગશો તો અમે શું કરીશું ?!
શત્રુઘ્નજી પણ લાડથી જવાબ આપતા,"અમને લાડ કરજો...એ કામ તમારું.."
ગુરુજી આ અનોખી વાત્સલ્યની કડીને નિહાળતા અને ગુરુમાતાને ટોકતા પણ ખરા,"દેવી,તેઓ અહી અભ્યાસ અર્થે આવ્યા છે, એવામાં  તમારો સ્નેહ ક્યાંક એમને નબળો ના પડે!એમને બહુ માયા ના લગાડશો.."
ગુરુમાતા પણ તાર્કિક ઉત્તર આપતા,"ગુરુદેવ, તમે તમારો ધર્મ નિભાવો!તમે એમને કઠોર શિક્ષણ આપો, મહાન રાજા બનાવો..હું તેમની કોમળ બાજુનું ધ્યાન રાખુંછું.."

આશ્રમમાં એક શિષ્ય હતો.નામ એનું વિવસ્વાન..તેને ક્યારેય આશ્રમ પ્રત્યે કૃતજ્ઞતા ના હતી..તેને તેનું ઘર છોડ્યાનું દુખ હમેશા રહેતું..
એકવાર સાંજે બધા શિષ્યો પરશાળમાં વાળું કરતા હતા.ગુરુમાતા સહીત બીજી સાધ્વીઓ ભોજન પીરસતી હતી..ત્યાં ભરત કહે,"માતાજી, આજે તો બહુ સ્વાદિષ્ટ ભોજન બન્યુછે..મને તો એવું લાગેછે જાણે મારી માતા મને જમાડી રહી છે.."
આ સાંભળી વિવસ્વાનથી ન રહેવાયું..કહે  ,"કોઈ બીજું કેવી રીતે માતા લાગી શકે??"
રામજી કશુક બોલવા જતા હતા પણ ગુરુદેવના ઈશારે ચુપ રહ્યા...રાતે જયારે ઈશ્વરની પ્રાર્થના માટે મળ્યા ત્યારે ગુરુદેવએ કહ્યું,"વિવસ્વાન હૃદયથી ખરાબ નથી..વધુ સમય ઘરથી અલગ રહેવાને લીધે તે હવે કોઈ બીજાને તેના જીવનમાં સ્થાન નથી  આપી  શકતો.એટલે જ તેનો સ્વભાવ આવો થઇ ગયો છે...હશે.જેમ પરિપક્વ થશે, આપોઆપ સમજી જશે."
જય સીયારામ..

Tuesday, August 16, 2011

વિદ્યા ગ્રહણ..

જય સિયારામ...
અહી આશ્રમમાં તો  રામજી અને તેમના ભાઈઓ પોતાના સાલસ સ્વભાવથી થોડા દિવસોમાં બધાના માનીતા થઇ ગયા, ખાસ કરીને ગુરુમાતાના..
ધીમે ધીમે કરીને બાળકો આશ્રમની માયાથી બંધાતા જતા હતા..અને હવે ઘરની યાદ પણ ઓછી આવતી હતી..ચારે કુમારો હવે પહેલા કરતા વધુ સમજદાર અને પરિપક્વ થતા જતા હતા..
ગુરુદેવ વશિષ્ઠે પણ તેમને ધનુર્વિદ્યા શીખવવાનું  શરુ કરી દીધેલું..
એક વાર તેઓ બધા શિષ્યોને લઇ આશ્રમની બહાર આવ્યા..,જ્યાં એક પુતળાને રાખેલું હતું..
તેઓ પુતળા પાસે ગયા અને બોલ્યા,"આ પુતળું એ એક દુરાચારી છે તેમ માનો..તે વડીલોનો આદર નથી કરતો..બધાને રંજાડવાનું કામ કરેછે..અને ક્યારેય ધર્મનું આચરણ નથી કરતો...તેના હોવા કે ના હોવાથી કોઈ જ પૃથ્વીવાસીને કોઈ ફરક નથી પડવાનો કેમકે તે કશું સારું કરતો નથી..
આવા સમયે તમારું કર્તવ્ય શું હોઈ શકે.? એક  ક્ષત્રિય તરીકે..અને એક સમાજના ઉત્તરદાયી નાગરિક તરીકે..??"
બધા શિષ્યોએ અલગ-અલગ જવાબ આપ્યા..છેવટે સૂર્યવંશીઓનો વારો આવ્યો...લક્ષ્મણજી  કહે,"ગુરુજી, આને હવે જીવિત રહેવાનો કોઈ હક નથી, એને મૃત્યુદંડ મળવો જોઈએ.."..લક્ષ્મણને આવતા ગુસ્સાને જોઈ ગુરુજીએ સ્મિત કર્યું..
પછી રામજીને પૂછ્યું,"રામ, તારું શું કહેવું છે પુત્ર?"
રામજી બોલ્યા,"ગુરુદેવ, મારે આ પાપી સાથે કોઈ શત્રુતા નથી! મને તેના પાપ સાથે શત્રુતા છે..જો તેને એ વાતનું ભાન થઇ જાય કે એ જે કરેછે તે બરાબર નથી, તો તેને સમાજે માફ કરી દેવો પડે..પણ જો તે ન માને તો તેને દંડ આપવો જોઈએ.."
ગુરુજી-"એમ માન કે એને કોઈ પસ્તાવો નથી તેને જે કરે છે એમાં..તો હવે તું શું કરીશ?"
આ સાંભળી રામજીએ ધનુષ નો ટંકાર કર્યો..કહે ,"તો હવે મારું  તીર છે અને તેનું મસ્તક છે.."..ગુરુજીની આંખોમાં હકાર પારખી તેમને વીજળીવેગે તેમનું બાણ છોડ્યું..અને પેલા પૂતળાના ચૂરે-ચુરા થઇ ગયા..
"રામ, તું ભવિષ્યમાં એક પ્રખર  પરાક્રમી રાજા બનીશ..મારા આશીર્વાદ છે, તારા તીરોનો કોઈ સામનો નહિ કરી શકે!"-પ્રસન્ન ગુરુદેવ આશીર્વાદ આપતા બોલ્યા..
રામજીના વિચારો જેટલા દ્રઢ છે એટલું જ તેમનું હૃદય કોમળ અને પ્રેમાળ છે..સાંજે તે સરસ્વતીમાતાની આરતીમાં જોડાયા અને વીણા વગાડવા લાગ્યા..તેમની વીણાના તાલે બધા આશ્રમવાસીઓ ડોલી ઉઠ્યા..
અને મિથીલામાં પણ પોતાના ગુરુમાતા પાસે નૃત્ય શીખતા નાનકડા  સીતાજી અચાનક  ડોલી  ઉઠ્યા..અને જાણે કોઈ નૃત્ય-પ્રવીણ હોય તેમ નૃત્ય કરવા માંડ્યા..

 वीणावादिनी मात के सन्मुख राम बजा रहे मादक वीणा..
सुन रहे गुरु और गुरुकुलवासी माता वर्णहु आ रसभिना..
मनसे मनके तार जुड़े , और सीता हुई श्रीराममे लीना..
बेसुध बनकर  नाचे  ऐसे  जेसे  कोई  नृत्य-प्रवीणा.. 

 નૃત્ય કરતા કરતા  સીતાજી અચાનક વિષ્ણુ ભગવાનની મૂર્તિ આગળ ઢળી પડ્યા..બધી સખીઓ અને ગુરુમાતા તેની પાસે દોડી ગયા..     
ઉર્મિલા કહે,"સીતે, આ અચાનક તને શું થઇ ગયું હતું? તું કેમ નૃત્ય કરવા લાગેલી?" 
"ખબર નહિ! મને લાગ્યું કે કોઈ મારા માટે વીણા વગાડી રહ્યુછે.."-ભગવાન સામે જોતા સીતાજી બોલ્યા..
જય સિયારામ...

Saturday, August 6, 2011

વિદ્યા ગ્રહણ..

જય સીયારામ..
ગુરુમાતાને લાગ્યુંકે ભરતને રામજી નહિ મનાવી શકે..પણ જેના હાથમાં જગતની દોરી છે તેનું કહ્યું કોણ ટાળી શકે!તેઓ તેમની પાછળ ગયા..કહે,"ભાઈ આમ ગુરુજીને પૂછ્યા વિના જવું હવે ઠીક નથી..તું જે માતા આગળ જવાની વાત કરેછે શું તેને તારું આવું કાર્ય ગમશે ખરા? આપણાં માત-પિતાએ આપણને આપણાં ભલા કાજે તેમનાથી દુર કર્યાછે..તો આપણું પણ પરમ કર્તવ્ય છે કે હવે તેમની પાસે  વિદ્યા ગ્રહણ કર્યા  બાદ જ જવું..અને વિચાર ભાઈ, તેઓ કદાચ અત્યારે તને સાચવી પણ લે પણ એવું બની શકે કે પહેલા જેવું કશું રહે નહિ!" રામજીની આવી વાત સાંભળીને ભરત શાંત પડ્યા અને માતાને મળવાની ઉત્કંઠા આંખમાંથી આંસુ બનીને દડદડી ગઈ.....ચારે સાંજનું વાળું કરીને, કુટીર તરફ ફર્યા...
જે બાળકો મલમલની કોમળ  શય્યામાં માતા પાસે નિરાંતે સુતાહતા તેઓ આજ દર્ભની પથારી પર સુતા..
ચારેને જાણે નિદ્રા-રાણીએ અબોલા લીધા..શત્રુઘ્ન કહે,"ભાઈ માતાને પણ અત્યારે ઊંઘ નહિ આવતી હોયને! તેઓ આપણને યાદ કરતા હશેને!"
ગુરુમાતા નવા શિષ્યોને અગવડતા નથીને તે જોવા આવતા હતા..પણ આ વાત સાંભળીને તેમનાથી હવે રહેવાયું નહિ..તેઓ ગયા અને ચારેને માતાની જેમ હાલરડાં ગાઈને પોઢાડી દીધા..
માતાઓની પણ એ જ હાલત છે..ત્રણે માતા આજે  ઝરૂખામાં બેઠી-બેઠી નભ સામે જોતી હતી અને જાણે ચાંદાના માધ્યમથી પોતાના પુત્રોને નિહાળતી હતી..અંતર નો વલોપાત ખુબ વધારે હતો..આખરે સુમિત્રાજીએ મૌન તોડ્યું,"આ કેવો વખત  છે દીદી? જયારે આપણાં પુત્રોને વ્હાલ કરવાનું વખત છે ત્યારે જ એમને આપણાંથી દુર મોકલી દેવાના?  હવે કોણજાણે કયારે તેમના મુખને નિહાળીશું? "
કૌશલ્યાજી-"સુમિત્રા, તેઓ જીવનમાં આગળ વધી શકે તે માટેજ આ વિયોગ થયો છે..છેવટે તો તેમનું જ ભલું છેને! "
કૈકેયીજી કહે-"હા સુમિત્રા! અને દુઃખી ના થઈશ! હું મહારાજને વાત કરી જોઇશ..મને આશાછે તેઓ મારી વાત કદાપી નહિ ટાળે..આપણે આપણાં પુત્રોને અવશ્ય મળવા જઈશું!"

જય સીયારામ..

Tuesday, August 2, 2011

આશ્રમ પ્રથમ દિન

જય સીયારામ... 
ગુરુજી સાથે ચારે બાળકો પગપાળા આશ્રમે આવી પહોચ્યા..આશ્રમના પ્રવેશદ્વારે વિટળાયેલી લતાએ તેમના પથમાં કુસુમ ખંખેરીને જાણે તેમનું સ્વાગત કર્યું!!
ચારે બાળકો પણ આ નવા વાતાવરણ ને નિહાળવા લાગ્યા..આશ્રમ કોઈ તપોભૂમિ થી ઓછો ન હતો..
ચારે બાજુ અનેક વ્રુક્ષોથી ઘેરાયેલી નાની-નાની કુટીરો સોહામણી લાગતી હતી..
આશ્રમની એક બાજુ એક મોટું ઘટાદાર વ્રુક્ષ હતું..તેના છાયામાં ચણેલા ઓટલા પર માં સરસ્વતીની પ્રતિમા હતી..
આશ્રમ ની અમુક  સાધ્વીઓ નીર ભરી લાવતી હતી અને બીજી વાછરડાઓને ઘાસ નીરી રહી હતી..
ત્યાં સામેથી  ગુરુમાતા આવતા દેખાયા. ગુરુજી નવા શિષ્યોનો હવાલો તેમને સોપીને બીજી વ્યવસ્થા માં લાગ્યા..
ગુરુમાતા તેમને તેમની કુટીર તરફ લઇજવા લાગ્યા .પરંતુ તળાવમાંથી બહાર આવેલા બતકના બચ્ચાઓ પણ આ નવા અતિથિને જોવામાં તેમના પથમાં રોકાઇ ગયા . આ જોઈ રામજી બોલ્યા," મિત્રો, અમને માર્ગ નહિ આપો કે?" અને ટોળું જાણે તેમની ભાષા સમજતું હોય તેમ ખસી ગયું..
અહી કામધેનુની પુત્રી નંદીની ગાય પણ હતી..તેમના મુક આશિષ પણ ચારેયે લીધા..
આખો દિવસ ક્યાય પસાર થઇ  ગયો..નવા મિત્રોને મળવામાં, આશ્રમના પ્રકૃતિમય વાતાવરણમાં સમયનું ભાન જ ન રહ્યું..બીજા દિવસથી વિદ્યારંભ કરવાનો હતો.
 સાંજ થઇ..બાળકો તેમની કુટિરના પગથીયે બેઠા હતા..
 વનમાં ગયેલી  ગાયોનું ધણ આશ્રમે પાછું ફર્યું..અને સીધું ગમાણમાં જઇ પહોચ્યું..
છુટેલા વાછરડાઓ પોતપોતાની માંને થાને વળગ્યા..આ જોઈ ચારે બાળકોનું મન વિચલિત થઇ ગયું!
આખો દિવસ યાદ ના આવેલી માતાઓની  યાદ હવે આવી..ભરતથી હવે રહેવાયું નહિ! તેની આંખોમાં આંસુ આવી ગયા..રામજીને કહે,"ભાઈ,મને માની બહુ યાદ આવેછે!"
રામજી-"એમની યાદ તો મને પણ આવેછે ભરત!"
સામે જ ગુરુજી ની કુટીર હતી..ગુરુમાતા પણ આ દ્રશ્ય જોતા હતા..પણ બાળકોની આવી નિર્દોષ વાતો સાંભળીને તેમનાથી રહેવાયું નહિ..તે ભરતને છાનો રાખવા જવા લાગ્યા..પણ ગુરુજીએ તેમને રોક્યા.
કહે,"દેવી,આશ્રમે આવતા દરેક બાળકની પહેલી સાંજ આવી જ હોય છે..પણ જે આ એક સાંજને જીરવી જાયછે, તે જ આગળ જતા મોટી મોટી ઉપાધિઓને સંભાળવા સક્ષમ  બને છે .તમે અત્યારે માત્ર જુઓકે બાળકો કેવી રીતે આમાંથી બહાર આવેછે!" અને ગુરુમાતા કચવાતા મને મુક-પ્રેક્ષક બની રહ્યા..
ભરતને બધા ભાઈઓએ સમજાવ્યા પણ તેમની માંને મળવાની ઈચ્છા વધુ બળવત્તર બની..
કહે,"હું તો માતા આગળ જાઉં છું.."
તે અચાનક ઉઠ્યા અને આશ્રમના પ્રવેશદ્વાર તરફ જવા લાગ્યા.. પાછળ ત્રણે ભાઈઓ તેને મનાવવાના પ્રયાસે દોડવા માંડ્યા..
જય સીયારામ..

Tuesday, July 5, 2011

આશ્રમ પ્રસ્થાન ..

જય સિયારામ..
આખરે રામજી અને તેમના ભાઈઓ માટે એક નવી જ સવાર પડી! સવારે પ્રાતઃ કાળે ઉઠીને બધા બાળકોએ માતા-પિતાની ચરણ-વંદના કરી.હવે બાળકોએ માત્ર  ગુરુજીની આજ્ઞાનું પાલન કરવાનું હતું..
સવારના શુભ મુહુર્તમાં જ ચારે  બાળકોને દીક્ષા અંગીકાર કરાવવામાં  આવી..
માથે મુંડન કરાવેલા,ભગવાં મુની-વસ્ત્રો પહેરેલા, તુલસીના આભુષણ ધારણ કરેલા બાળકો જયારે માતાની સામે આવ્યા ત્યારેબધી  માતાઓના હૃદય જાણે એક ક્ષણ માટે 
ધકડતા બંધ થઇ ગયા અને આંખોમાં આંસુ આપતા ગયા.! પરંતુ હજુ તો માતાઓએ આનાથી પણ વધુ હૃદયદ્રાવક ઘટનામાં સામેલ થવાનું હતું!
મહેલ છોડતા પહેલા ચારે બાળકોએ માતા પાસે પહેલી ભિક્ષા  માગવાની હતી!માતાઓ ભિક્ષાની સામગ્રી લઇ દરવાજે ઉભી રહી અને  એક પછી  એક  "ભિક્ષાન દેહી.." કરતા પોતાના પુત્રોને આંસુ સાથે ભિક્ષા આપતી  ગઈ!
जगदाता यदि भिक्षा  मांगे , क्या कोई रखे उनके आगे
धान्य के साथ मन करदिया दान, भिक्षा पाय चले भगवान!!
ચારે બાળકો ભિક્ષા લઇ ગુરુજીની સાથે ચાલતા થયા..એટલે સુમિત્રાજી કહે," થોભો ગુરુવર!  બહાર રથ સુમંતજી સાથે તૈયાર જ છે!"
આ સાંભળી ગુરુદેવ હસ્યા!! કહે," દેવી, મુનિકુમારો માટે હવે બધા સાધનો વર્જ્ય છે! તેઓ મારા સાથે ચાલીને જ આશ્રમે આવશે!"
અને રાજર્ષિ સાથે સૂર્ય-ચંદ્રોએ  શિક્ષા ગ્રહણ માટે પ્રયાણ કર્યું!  
જય સિયારામ..




Thursday, June 16, 2011

બાળલીલા conn..

જય સિયારામ...

અહીં સીતાજી પણ તેમની બહેનો સાથે મિથીલામાં બાળ-લીલાઓ કરેછે..
નાનકડા એવા સીતાજી તેમની સખીઓ અને બહેનો સાથે રમતા રમતા વિષ્ણુ ભગવાનની  મૂર્તિ પાસે જઈ ચડતા..  અને તેને જોઈ સીતાજી જાણે અવાચક થઇ જતા..
એકવાર રમત રમતમાં શ્રુતકીર્તિએ સીતાજીને પૂછ્યું,"સીતે, તારે કેવા પતિ જોઈએ છે??"
આ સાંભળી ઉર્મિલાએ ઉત્તર આપ્યો,"મને ખબર છે તેને કેવા પતિની ઈચ્છા છે.."
"કેવા પતિની ?"-માંડવી એ પૂછ્યું...ઉર્મિલા કહે,'જે શક્તિશાળી હોય, પ્રખર તેજસ્વી  હોય અને જેની આગળ મોટા મોટા રાજાઓનું પણ કઈ ના આવે તેવું ચરિત્ર હોય...જે સિયાનું  ધ્યાન પણ રાખે..બરાબર ને સીતે?".આમ કહી બધી સખીઓ હસવા લાગી...
પરંતુ સીતાજી ગંભીર બન્યા..વિષ્ણુ ભગવાનની મૂર્તિ સામે જોઈ કહે,"મારે આવા પતિ જોઈએ છે...હરિ જેવા ગુણો ધારણ કરનાર..જુઓ, તેમના એક હસ્તમાં ચક્ર છે જે સૂચવે છે કે તે પાપીઓને દંડ દેશે અને અધર્મીઓનો વિનાશ કરશે..તો બીજા હસ્તમાં પદ્મ પણ છે..એટલે કે તેઓ કમળની સમાન કોમળ થવાનું પણ જાણેછે.."
अतुलनीय वन्दनीय पूजनीय इष्ट यही, एकनिष्ठ  होके ध्यान विष्णुका लगाया हे..
जगतपति परमपतिको पतिके रुपमे पाउ,यही मुख्य आकर्षण यहाँ खीच लाया हे..

આ વાતો ગુરુમાતા દુરથી સંભાળતા હતા..સીતાજીની વાતો પર તેમને સ્નેહ ઉપજ્યું અને જાણે મનમાં જ તે બોલી ઉઠ્યા,'તારી ઈચ્છા અવશ્ય પૂરી થશે,પુત્રી!"

એક સવારે રાજગુરુ વશિષ્ઠ અયોધ્યા પધાર્યા..મહારાજ દશરથે તેમની સુશ્રુષા બાદ આવવાનું કારણ પૂછ્યું..ત્રણે રાણીઓ પણ ત્યાં હતી..
વશિષ્ઠ ઋષિ કહે,"હું એક ખાસ પ્રયોજનથી અહી આવ્યો છું.મહારાજ, આપના પુત્રો હવે વિદ્યાભ્યાસ માટે તૈયાર થઇ ગયાછે..એમનું હવે આશ્રમે આવવું યોગ્ય રહેશે!"
આ સાંભળી ત્રણે માતાઓના હૃદયમાં ધ્રાસકો પડ્યો! દશરથ રાજા પણ થોડીવાર ચુપ બેસી રહ્યા..
પછી હાથ જોડી વશિષ્ઠજીને કહ્યું,"ગુરુદેવ, શું એવું ન  થઇ શકે કે રાજકુમારો અહી મહેલમાં રહીને જ શિક્ષા ગ્રહણ કરે??"
આ સાંભળી વશિષ્ઠજી હસ્યા,કહે-"મહારાજ,આ એક પિતા બોલી રહ્યો છે, એક રઘુવંશી નહિ!, અને સાચું શિક્ષણ તો વનમાં જ મળે,અહી મહેલમાં તેમને બધી સુવિધાઓ મળશે પણ જીવનમાં ક્યારેક એવો વખત પણ આવી શકે જયારે આ બધું ભૌતિક સુખ છૂટી જાય.ત્યારે તેઓનું મનોબળ ટકી રહે એ માટેની  સમજ તો  ઝુપડામાં જ પ્રાપ્ત થાય,અહી મહેલમાં નહિ!..પુત્રમોહ ત્યાગી દો..અને આ દીક્ષા તો તેમણે લેવાની જ છે.."
મહારાજે હાથ જોડ્યા,"આપ જે કહો તે મને માન્ય છે, રીશીવર!"
વશિષ્ઠજીએ વાત આગળ વધારી,"દીક્ષા ગ્રહણ માટે મેં મુહુર્ત જોઈ રાખ્યું છે..કાલે અત્યંત શુભ દિવસ છે કુમાંરોના આશ્રમ પ્રસ્થાન માટે!"
માતાઓ એક-બીજા સામે ભીની આખે જોઈ રહી હતી..
દશરથજી બોલ્યા,"ચાલો ગુરૂવર, હું પ્રધાનો અને અમાત્યોને આ વિષે સુચના આપી દઉં અને દીક્ષા માટેની જરૂરી વિધિઓ પણ તમે એમને જણાવી દો, જેથી અત્યારથી તેઓ તૈયારી કરવા માંડે!"
બંને દરબાર તરફ ગયા અને રાણીઓ તેમના પુત્રો પાસે જવા નીકળી..
હવે આજની રાત જ છે તેઓ તેમના પુત્રો સાથે એવું વિચારતા તેમના રોમેરોમ કંપી ઉઠ્યા..

આજની સાંજ પણ બહુ ઉદાસ રીતે પસાર થઇ..રાણીઓના ગળે જમવાનું પણ ન ઉતર્યું..
રાતે માતાઓ ને ઊંઘ પણ ન આવી..ઘડીકમાં સુતા પુત્રોને નિહાળે તો ઘડીક માં આકાશ તરફ દ્રષ્ટિ કરે!
ક્યાંક સવાર તો નથી થઇ ગઈને!!
ત્રણે એક બીજીને કહી રહી હતી.."આટલા વિલાસમાં ઉછરેલા આપણા પુત્રો કેમ કરી ત્યાં રહી શકશે!?
આવી કોમળ શય્યા છોડી તેમને શું દર્ભ પર નીંદર આવશે ખરી?અને ત્યાં તેમને કોણ  હાલરડાં ગાઈને સુવાડશે! બત્રીસ જાતના પકવાન જમતા આપણા પુત્રોને  ત્યાનું સાદું ભોજન ભાવશે?" આવું વિચારી, રડતા રડતા ત્રણે માતાઓએ  રાત પસાર કરી!

જય સિયારામ...

Friday, June 10, 2011

બાળલીલા ..

જય સિયારામ..
રામજી અને તેમના ભાઈઓ ધીમે ધીમે રમત રમતમાં  ધનુષ-બાણ ચલાવતા શીખ્યા..તેમાં પણ નાનકડા એવા રામજીની લીલાઓ જ અનેરી છે..પીળું પીતાંબર, અંગે આભૂષણો અને મુખ પર અનેરી શોભા સાથે જયારે હસ્તમાં ધનુષ હોય ત્યારે તો એમ જ લાગે કે હવે પલક વારમાં જ સૃષ્ટિના બધા પાપીઓનો અંત થઇ જશે!!
એકવાર બધા ભાઈઓ મહેલના બગીચામાં રમતા હતા..ઝરૂખામાંથી બધી માતાઓ  તેમને અવલોકતી હતી..તેવામાં લક્ષ્મણ અને શત્રુઘ્ન લડી પડ્યા..ત્રણે માતાઓ આતુરતાથી જોવા લાગી કે હવે કોણ આ પરિસ્થિતિને સંભાળેછે...થયું એવું કે રામજી અને ભરતજી બન્ને એ એક જ વૃક્ષના ફળ પર બાણ ચલાવ્યું.
શત્રુઘ્ન કહે કે આ ફળ ભરતજીના બાણથી નીચે આવ્યું છે..ત્યાં લક્ષ્મણ કહે કે આ ફળ તો રામજીના બાણે જ વીંધાયું છે!! આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ! અને માતાઓ સ્મિત સાથે તેમનો આ નિર્દોષ ઝઘડો જોતી હતી!..ત્યાં રામજી આવ્યા અને લક્ષ્મણને કહ્યું,"આ ફળ ભરતે તોડ્યું છે, ભાઈ! તું શાંત થા!"
લક્ષ્મણ વધુ ઉશ્કેરાયા,"એ ખોટું છે ભાઈ! મને ખબર છે તમે ભરતને જીતાડવા આવું કહો છો!એ ફળ તમારું જ છે!!! "
રામજી હસ્યા,"મારું છે તે કોનું છે લક્ષ્મણ?"
લક્ષ્મણ આ વાત માની ગયા અને પછી ચારે એ બધા ફળ સાથે આરોગ્યા...
આ જોઈ કૈકેયીજી બોલ્યા,"રામ હમેશા આવું કરેછે..પોતાની સફળતાનો શ્રેય તેના ભાઈઓને આપી દેછે...કોણ જાણે આવી વાતો તેને કોણ શીખવાડેછે!!!"
કૌશલ્યાજીએ પણ  તેમની વાતમાં સુર પુરાવ્યો અને સુમિત્રાજીને કહ્યું કે તેના બંને પુત્રો પણ તેના જેવા જ છે..તેમના ભાઈઓને સમર્પિત..લક્ષ્મણે પોતાને રામજીને સમર્પિત કરી દીધા તો શત્રુઘ્ને ભરત ને!
ત્રણે માતાને શું ખબર કે આ ભાઈઓની જોડી ભવિષ્ય માં કેવા પરાક્રમો કરવાની છે!!
જય સિયારામ..

.

Thursday, April 21, 2011

બાલકાંડ

જય સીયારામ..

મહારાજ જનકના મહેલ માં  તેમને વારસામાં મળેલું ભગવાન શિવ નું ધનુષ-ત્ર્યંબક હતું..જે સાક્ષાત શિવજી નું તેમના વંશ ને મળેલું વરદાન હતું..આ ધનુષનો  એ મહિમા હતો કે 
કોઈ પણ તેને ઉપાડી શકતું નહોતું...
એક વાર રમતા રમતા ચારે બહેનોથી ગેંદ જ્યાં ધનુષ રાખેલું હતું તેના આધાર નીચે જઈ પડ્યો..
પણ આ શું? જે ધનુષ ને કોઈ ઉપાડી ના શક્યું તે નાના સીતાજીએ રમતમાં ઉઠાવી લીધું..
અને તેમની સામે તાકતી બહેનો ને કહ્યું,"જોઈ શું રહ્યા છો..! જલ્દી ગેંદ નીચે થી લઇ લો
એટલે ધનુષ પાછું મુકી દઉં..".. ત્યાંથી પસાર થતા રાજા જનકજીને આ જોઈ અતિ આશ્ચર્ય
થયું,પછી મન માં કશોક વિચાર કરતા ત્યાંથી જતા રહ્યા..
એક વાર હિમાલય માં તપ કરી રહેલા પરશુરામજી ને પ્રભુ ની આજ્ઞા થઇ અને તેઓ
તેમને મળેલા વરદાન મુજબ વાયુવેગે મિથીલા જવા નીકળ્યા...તેમના જેવા મિથીલા માં
ચરણ પડ્યા કે મિથીલામાં તો જાણે વંટોળ આવ્યું...સુનૈનાજી અને જનકરાજા આ જોઈ
મહેલ બહાર નીકળ્યા..તેમને લાગ્યુંકે વંટોળનું કેન્દ્રબિંદુ તેમની નજીક આવી રહ્યું છે..
પણ તે નજીક આવ્યું ત્યારે ખબર પડી કે આ તો સાક્ષાત પરશુરામજી છે..
તેઓ તેમને આદર સહિત મહેલ માં લઇ ગયા.અને સુશ્રુષા કરી.
મહારાજ તેમને જ્યાં ધનુષહતું તે કક્ષમાં લઇ ગયા..
તેમણે ધનુષ પુજ્યું અને વદ્યા:"મહારાજ, આ ધનુષ તો
આપના વંશ ને વરદાન છે..તમારા યશ અને કીર્તિ તેને લીધે મહેકે છે..
મારી એ જ વિનંતી છે કે ક્યારેય આ ધનુષનું અપમાન થાય નહિ, એ તમે ખ્યાલ
રાખશો..જો કદી એવું થશે તો ધનુષ ફરીથી શિવજી પાસે જતું રહેશે.."
આ સાંભળી નાના સીતાજી બોલી ઉઠ્યા.."તમે ધનુષ ને તમારી સાથે તો નહિ લઇ જાઓ ને?"
પરશુરામજીના તામસી સ્વભાવથી પરિચિત સુનૈનાજી એ સીતાજીને ચુપ રહેવા ઈશારો કર્યો..
અને હાથ જોડી પરશુરામજીને કહ્યું.."દેવ, એને ક્ષમા કરશો, અમારી પુત્રી છે, સીતા.." 
પરશુરામજી આ સાંભળીને ચમક્યા અને મનમાં બોલ્યા ..'તો પ્રભુએ એમની
લીલા શરૂ કરી દીધી છે..'
ફરી ધનુષને પ્રણામ કરી વાયુવેગે તેઓ ચાલતા થયા અને થોડી વારમાં તો
અલોપ થઇ ગયા...

ચારે ભાઈઓ અયોધ્યામાં અને મિથીલામાં ચારે બહેનો મોટી થવા લાગી..
उधर जानकी बढ़ रही, इधर बढ़ रहे राम..
दोनों दिन-दिन हो रहे , सुन्दर ललित लला.
जय जय जय श्रीराम..
 જય સીયારામ..

Friday, April 1, 2011

ભગવતી આગમન ..

જય સીયારામ..
રામજી  તેમના ભાઈઓ સાથે મોટા થવા લાગ્યા...એક બાજુ મારુતિના નિર્દોષ તોફાન પણ થતા રહ્યા..
એવા સમયે મિથીલાના રાજા જનકે પણ તેમની તપસ્ચર્યા પૂરી કરી અને વિદેહ કહેવાયા.
હવે ભગવતી નું અવતરણ થવાનું હતું..એક યજ્ઞના ભાગ રૂપે મહારાજ જનક ખેતરમાં હળ
ચલાવતા હતા.. પરંતુ એક જગ્યા એ હળ થોભી  ગયું..
ઘણા યત્નો કરવા છતાં આગળ જ ન વધ્યું..મહારાજ ની આજ્ઞા થી ત્યાં ની ભૂમિ ખોદતા 
બધાના આશ્ચર્ય વચ્ચે ત્યાંથી એક સંદૂક પ્રગટ થઇ..અને તેને ખોલતા તો
 જનક્જી ગદગદ થઇ ગયા..એક નવજાત કન્યા શિશુ જનક્જી ના હાથ માં આવતા જ રડતી બંધ થઇ..જનકજી ને પણ સંતાન ની ખોટ પૂરી થતી લાગી..
અને ત્યાંજ કન્યાનું નામ-કરણ થઇ ગયું-"સીતા"..
હળ ચલાવતા મળેલા એટલે તેમનું નામ સીતા પડ્યું..
આ પછી રાજા જનકના રાણી સુનૈનાજી ના કુખેપણ કન્યા અવતરી-'ઉર્મિલા'. 
જેવી રીતે રામજી  નો પડછાયો લક્ષ્મણ હતા તેવી રીતે ઉર્મિલા પણ સીયાનો પડછાયો હતા..
કાકા કુશધ્વજજી ની બંને દીકરીઓ માંડવી અને  શ્રુતકીર્તિ બંનેની પાક્કી સહેલીઓ..
નાની કન્યાઓ ના ઝાંઝર ના રણકારથી મિથીલાનરેશ નો મહેલ પણ ભર્યો-ભાદર્યો થઇ ગયો.. 

જય સીયારામ..

Sunday, March 20, 2011

બાલ સ્વરૂપ ઝાંખી

જય સીયારામ..
 બધી દાસીઓએ ભેટ પામી અને રાજાજી પોતાના પુત્રોના  મુખમંડળ જોતા ચકિત રહી ગયા..
જાણે તેમના નાનકડા પુત્રોએ તેમની બંધ મુઠ્ઠીમાં સમગ્ર વિશ્વને જકડી રાખ્યુંછે..
સમય વીત્યો..રાજગુરુ વશિષ્ઠજી  પધાર્યા અને ચારે બાળકોના નામકરણ સંસ્કાર થયા..
વશિષ્ઠજી કહેછે  ,"રાજન, તમારા ચારે પુત્રો ખૂબજ ગુણવાન થશે અને સમગ્ર વિશ્વ એકદિવસ
તેમને તેમના વચન અને આદર્શો થી ઓળખશે..આપના જયેષ્ઠ પુત્રનું નામ હશે-'રામ'.
.જે જગત સામે અનોખા જ આદર્શો પ્રસ્થાપિત  કરશે..કૈકેયી સુત 'ભરત' એમના મોટા ભાઈના
પગલે પગલે ચાલશે..
અને સુમિત્રાજીના બંને પુત્રો ના નામ અનુક્રમે 'લક્ષ્મણ'  અને 'શત્રુઘ્ન'  હશે જે પણ સદા
તેમના ભાઈઓનો આદર કરશે અને તેમને જ સમર્પિત રહેશે.."
કૈકેયીજીએ  'મારો રામ' કહી નાના રામને ગળે લગાડ્યા..

આ બાજુ અંજની નામની અપ્સરા ના ઘરે પણ ઈશ્વરના રુદ્ર સ્વરૂપે જન્મ લઇ લીધો હતો..
જેમનું નામ 'મારુતિ' રાખવામાં આવ્યું.. તેમના તાતનું નામ 'કેસરી' હતું જે વાનરરાજ તરીકે
ઓળખાતા હતા જયારે અંજનીજી એક શાપિત અપ્સરા હતા જે ઈચ્છાધારી હતા અને
અત્યારે તો તેમને મર્કટી સ્વરૂપે રહીને પ્રભુનું કામ કાર્ય કરવાનું હતું...

સમયનું ચક્ર ફર્યું..ધીમે ધીમે ભગવાનની બાલ સ્વરૂપે લીલાઓ ચાલુ થઇ..તે જ રીતે
તેઓ ચાલતા શીખેછે..
Video for Thumak chalat Ramchandra..
ठुमक चलत रामचंद्र बाजत पैजनियाय..ठुमक चलत रामचंद्र..
ठुमक ठुमक चले...उठत गिरत चले रामजी हमारे..
एक पग दो पग,पद पद चलना सीखे  रामलला प्यारे..
रुनजुन  रुनजुन  ..पैजनी की धुन सुन .. सब मन हारे...
ठुमक चलत रामचंद्र बाजत पैजनियाय..
मैया...में तो चन्द्र खिलौना लेहु..
हाथ लगा विना उनसे खेले..यु ही पड़े सोने-चाँदी के खिलोने..
गोरे गोरे चांदको मांगे..आप प्रभुजी का रंग सलोना..
राम की हठ पर..लाल की हठ पर..
             बाल की हठ पर, मैया जलमे चन्द्रमा उतारे..
छप छ्प छप छप..चांद्से  खेले अवध के दुलारे..
रुनजुन रुनजुन पैजनी की धुन सुन सब मन हारे..
ठुमक चलत रामचंद्र बाजत पैजनियाय........
એક વાર નાના રામજી એ હઠ પકડી કે મારે ચાંદો જોઈએ છીએ..કૌશલ્યાજી એ તેમને
 બહુ  સમજાવ્યા ચંદ્ર તો ખુબ દુર હોય ત્યાંથી કેવીરીતે લવાય..પરંતુ બાલહઠ એ બાલહઠ ..
આખરે કૌશલ્યાજી એ તેમની પાસે જળ ભરેલી થાળી મૂકી..અને તેમાં ચંદ્રનું પ્રતિબિંબ ઉતાર્યું..
આ જોઈ રામજી રડતા બંધ થયા અને જળ માંના શશિ થી રમવા લાગ્યા..

જય સીયારામ..

Saturday, February 26, 2011

અવતરણ

ત્રણે માતાઓ પણ પોતાના દિવસો આવનાર મહેમાનોના વિચારો કરવામાં પસાર કરવા લાગી..
આખરે એ ધન્ય દિવસ પણ આવી પહોચ્યો....
અવકાશમાં પણ  બધા દેવી-દેવતાઓ એ ધન્ય ઘડીની વાટ જોતા હતા...
ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી નો દિવસ...
હરિશ્રી વિષ્ણુએ સમગ્ર જગતના જાણે શ્વાસ થંભાવી દીધા..
નદીઓ વહેતી અટકી ગઈ...પવન  વાતો બંધ થયો..
સાગરના મોજા હિલોળા લેવાનું  ભૂલી ગયા..
પશુ-પક્ષી જાણે આજ પ્રભુના અવતરણ ટાણે સામાન્ય જીવ મટીને
ધૈર્યધાર તપસ્વી બની બેઠા..
અને  મહારાણી કૌશલ્યાજી  એ   શ્રી હરિના  દર્શન પામ્યા...
હરિ વદેછે..
"સ્મરણ છે દેવી? આગલા જન્મમાં તમે અદિતિના રૂપમાં મારી પાસે વરદાન
માગ્યું હતું કે આપના જેવા પુત્રની હું માતા બનું..
પરંતુ મારા જેવું તો કોઈ જ નથી એટલે હું જ આપના પુત્રરૂપે આવુછું..."

"મારા ધન્ય ભાગ્ય,પ્રભુ! પરંતુ  હવે તમે બાલરૂપમાં  પ્રકટ થાઓ..." કૌશલ્યાજી
હાથ જોડીને બોલ્યા...
અને ચંદ્રમુખી બાળકના રુદનથી સુનો મહેલ ગાજી ઉઠ્યો...
અવકાશમાંથી દેવીદેવતાઓએ પ્રતીકાત્મક પુષ્પવર્ષા કરી....

થોડીવારે એક દાસીએ આવીને મહેલના ઝરૂખામાં આંટા
મારતા  દશરથજીને વધામણી આપીકે તેઓ એક સુંદર   પુત્રના
પિતા બન્યા છે...દશરથજીએ  તરત તેમના ગળાને શોભાવતો હાર દાસીને  આપ્યો....
ત્યાતો મંથરા સહીત બીજી દાસીએ  આવીને વધામણી ખાધીકે કૈકેયીજીએ પણ
એક પુત્રને જન્મ આપ્યો છે....તેમનો  હરખ હજુ પૂરો બહાર પડ્યો ન  પડ્યો
કે સુમીત્રાજીના કક્ષમાંથી આવતી દાસીએ કહ્યુકે તેઓ વધુ બે પુત્રોના પિતા બન્યા
છે..

Sunday, February 20, 2011

પ્રારંભ

જય  સીયારામ ..
ભારતની ભૂમિ એ આદિકાળથી દેવોની પ્રિય ભૂમિ રહેલી છે.
તેમાં પણ જગતના પાલનહાર એવા શ્રી હરિ એ જગતનો  ઉદ્ધાર કરવા   ઘણા અવતારો લીધા ..
તેમના બે રૂપ-શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ તો ભારતીયોના હદય- સમ્રાટ  છે..
બંને રૂપ એક બીજાથી તદ્દન ભિન્ન..
એક માખણચોર ગણાયા તો  બીજા મર્યાદા પુરુષોત્તમ ગણાયા..
કોઈએ ઠીક જ કહ્યું છે કે  શ્રીરામ કરે તેમ કરો અને શ્રીકૃષ્ણ કહે તેમ કરો..
કારણકે શ્રીરામ જેવા  આદર્શ વ્યક્તિત્વનું માત્ર સ્મરણ જ  કેટલાયે દુઃખને દુર કરવા
સક્ષમ છે....
તેમના પરમ સાનિધ્યની ઝડીમાં  ક્યાંક-ક્યાંક કોરી  રહી ગયેલી આત્માને ભીંજવીએ...

પ્રાચીન ભારતવર્ષ માં અયોધ્યા નામે એક સુંદર નગરી હતી..
તેના મહારાજ દશરથ પ્રજાવત્સલ હતા અને તેમની ન્યાયપ્રીયતાની તોલે કોઈ આવી શકે
તેમ ન હતું..
તેમને ત્રણ રાણીઓ-કૌશલ્યાજી  , કૈકેયીજી  અને સુમિત્રાજી . પરંતુ ત્રણ-ત્રણ રાણીઓ હોવા છતાં મહારાજ
પુત્ર-પ્રાપ્તિથી વંચિત હતા..
આ માટે તેમણે એક યજ્ઞ  કર્યો...જેના અંતે એક દિવ્ય-પુરુષ પ્રસાદી સાથે ઉદભવ્યા..
आस भरा विश्वास भरा, दशरथ के हाथोमे  खीर का प्याला..
पहला भाग महाराजाने महारानिके हाथमे डाला..
दूसरा भाग दिया कैकेयीको, मानो भाग बदलने वाला.
कौशल्या कैकेयिने सुमित्राके नामका एक-एक भाग निकाला..
મહારાજે ત્રણે રાણીઓને સરખા ભાગ આપ્યા.. પરંતુ સુમિત્રાજીનો ભાગ અચાનક આકાશમાંથી
આવેલ એક સમડી લઇ ગઈ...
આ ઘટનાથી અચંબિત બંને રાણીઓએ પોતાનામાંથી અડધો-અડધો ભાગ સુમિત્રાજી ને આપ્યો.
જે ભાગનું પાત્ર સમડી લઇ ગઈ હતી, તે વાયુદેવના પ્રતાપે  દુર એક પર્વત પર તપ કરતી અંજની નામની અપ્સરાના ખોળામાં જઈને પડ્યો..
પ્રસાદીના પ્રતાપે ત્રણે રાણીઓને સારા દિવસો રહ્યા અને મહારાજ તેમના મહેલમાં
કિલકારીઓની વાટ જોવા લાગ્યા... 





Wednesday, February 16, 2011

પ્રસ્તાવના

જય સીયારામ ...
નમસ્કાર...
આમ તો આજની જીવન- ઘટમાળમાં આપણી પાસે  ખુદની માટે પણ સમય હોતો નથી,
તેવામાં ઈશ્વર તો ક્યાંથી યાદ આવે!
પરંતુ માળાને છોડીને ગયેલું  કબુતર જેમ આખરે તો ત્યાંજ પાછું આવે, તેવી રીતે આપણે બધા પણ એક દિવસ ત્યાંજ ભેગા થવાના.....
અને દુનિયાના આવડા મોટા મહેરામણમાં  ખોવાઈ  ન જવાય તે માટે સારા સંગાથની જરૂર હોય છે.
"સોબતથી ગુણ આવેછે, સોબતથી ગુણ જાયછે.."
એમ કહેવાયછે કે તમારા જીવન પર સૌથી વધુ પ્રભાવ તમારી સોબતનો પડે છે..
'શ્રીરામ',જેમના સંગાથે ભક્ત હનુમાનને ભગવાન બનાવી દીધા..!!
'શ્રીરામ', જેમના સ્પર્શ માત્રથી ખડક બનેલી અહિલ્યામાં પ્રાણનો સંચાર થયો..!!
'શ્રીરામ', જેમના માત્ર નામથી પત્થરો પણ પાણી પર તરી ગયા..!!
'શ્રીરામ',જેમના નામનું ઉચ્ચારણ કરવાથી મનને આરામ મળેછે..!!
આ વ્યસ્ત જીવનમાં,જેમાં સારી સોબત મુશ્કેલ બની ગઈ છે!..
તો આવો,થોડો સમય વિતાવીએ પ્રભુ શ્રીરામના ગુણકારી સાનિધ્યમાં....._/\_
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth